યોગી સરકારના ક્યા ત્રણ પ્રધાનોના પર્સનલ સેક્રેટરી લાંચ લેતાં રંગે હાથ ઝડપાતાં જેલભેગા થયા ?
શુક્રવારે રાત્રે હઝરતગંજ પોલીસે રાજ્યના પછાત વર્ગ કલ્યાણ મંત્રી ઓમપ્રકાશ રાજભરના સચિવ ઓમપ્રકાશ કશ્યપ, કોલસા મંત્રી અર્ચના પાંડેના સચિવ એસપી ત્રિપાઠી અને શિક્ષા મંત્રી સંદીપ સિંહના અંગત સચિવ સંતોષ અવસ્થીની ધરપકડ કરી હતી. બાદમાં તેમને મેજીસ્ટ્રેટ સામે રજૂ કરીને જેલમાં મોકલવામાં આવ્યા હતા.
લખનઉઃ ઉત્તરપ્રદેશ પોલીસે યોગી આદિત્યનાથ સરકારના ત્રણ પ્રધાનોના અંગત સચિવોની ભ્રષ્ટાચારના મામલે ધરપકડ કરી છે. એક ખાનગી ટીવી ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં યોગી સરકારના રાજ્ય કક્ષાના 3 મંત્રીઓના અંગત સચિવો ભ્રષ્ટાચાર માટે નાણાં લેતા હોવાનું સાબિત થતાં પોલીસે ધરપકડ કરી છે.
આ ત્રણેય અંગત સચિવ કોન્ટ્રાક્ટ અપાવવાના બદલામાં નાણાં લઈ રહ્યા હોવાનું સ્ટિંગ ઓપરેશનમાં દેખાયું હતું. રાજ્ય સરકારે આ મામલે ત્રણેયને 27 ડિસેમ્બરે સસ્પેન્ડ કરી દીધા હતા. એ જ દિવસે તેમની વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. સરકારે આ કેસમાં SIT પાસેથી 10 દિવસમાં તપાસ રિપોર્ટ માંગ્યો હતો.