તમિલનાડુઃ દિનાકરણે નવી પાર્ટીની કરી જાહેરાત, જાણો શું રાખ્યું નામ અને ક્યું છે ચૂંટણી ચિહ્ન
પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાનું ડિસેમ્બર 2016માં નિધન થયા બાદ એઆઈએડીએમકે બે ભાગમાં વહેંચાઈ ગયું. હાલ મુખ્યમંત્રી ઈ. પલાનીસામી અને ઉપમુખ્યમંત્રી ઓ. પન્નીરસેલ્વમ ના હાથોમાં પાર્ટીની કમાન છે.
મદુરઈઃ તમિલનાડુમાં વધુ એક રાજકીય પક્ષ અસ્તિત્વમાં આવી ગયો છે. ટીટીવી દિનાકરણે આજે અમ્મા મક્કલ મુનેત્ર કઝગમ (એએમએમકે) નામથી નવી પાર્ટીની જાહેરાત કરી હતી. જોકે, દિનાકરણે કહ્યું કે તેઓ એઆઈએડીએમકે ચૂંટણી ચિન્હ બે પત્તીને મેળવવાનો પ્રયાસ કરશે. ત્યાં સુધી કુકર તેમનું ચૂંટણી ચિન્હ રહેશે.
પાર્ટીના ઝંડા પર જયલલિતાનું કેરિકેચર છે. મહત્વપૂર્ણ છે કે, દિનાકરણ આવકથી વધુ સંપત્તિના મામલામાં બેંગલુરુની પરપ્પના જેલમાં કેદ શશિકલાના ભત્રીજા છે.
દિનાકરણે હાલમાં જ આરકે નગર વિધાનસભા સીટ પર થયેલી પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે જીત મેળવી હતી. તેના કારણે તેમની રાજકીય જમીન મજબૂત થઈ. જયલલિતાના નિધન બાદ આ સીટ ખાલી થઈ હતી.