UP પેટાચૂંટણી પરિણામઃ ગોરખપુર અને ફૂલપુરમાં ભાજપ હાર તરફ, SP-BSPમાં જશ્ન
ગોરખપુરથી યોગી આદિત્યનાથ સતત પાંચમી વખત જીતીને સાંસદ બન્યા હતા. યોગીને 5 લાખ 39 હજાર અને બીજા સ્થાન પર રહેલા એસપીના રાજમતિ નિષાદને 2 લાખ 26 હજાર વોટ મળ્યા હતા. 2014માં ફૂલપુર સીટ પરથી કેશવ પ્રસાદ મૌર્યને 5 લાખથી વધારે વોટ મળ્યા હતા. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી એસપી ઉમેદવાર ધર્મરાજ પટેલને માત્ર 1 લાખ 95 હજાર વોટ મળ્યા હતા.
આ ચૂંટણી પરિણામો યુપીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનની પણ પરીક્ષા છે. માયાવતીએ અખિલેશની પાર્ટીને આડકતરી રીતે સપોર્ટ કર્યો છે. જો બંને સીટો પર આ પરીક્ષણ સફળ થશે તો 2019માં અહીં બંને પાર્ટીઓ ગઠબંધન પર વિચાર કરી શકે છે.
આ બંને સીટના પરિણામો ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની લોકપ્રિયતાની પણ પરીક્ષા છે. 19 માર્ચે યોગી સરકાર તેના કાર્યકાળનું એક વર્ષ પૂરું કરવા જઈ રહી છે. આ સ્થિતિમાં પરિણામોથી યુપીની જનતાનો મૂડ સામે આવશે.
લખનઉઃ ઉત્તરપ્રદેશમાં ગોરખપુર અને ફૂલપુર લોકસભાની યોજાયેલી પેટાચૂંટણી મત ગણતરી શરૂ થઈ ગઈ છે. હાલ ગોરખપુર અને ફૂલપુરમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર લીડ લઈ રહ્યા છે. 11 માર્ચે યોજાયેલી પેટાચૂંટણીમાં અહીં ધાર્યા મુજબનું વોટિંગ થયું નહોતું. ગોરખપુરમાં 47.75 ટકા અને ફૂલપુરમાં 37.39 ટકા મતદાન નોંધાયું હતું. ગોરખપુર સીટ પર 10 અને ફૂલપુર સીટ પર 22 ઉમેદવારો મેદાનમાં છે.