લખનઉમાં 'આમ આદમી'નાં એન્કાઉન્ટરથી ચકચાર, મોત થતા પત્નીએ માંગ્યો CM યોગી પાસે જવાબ
લખનઉ: ઉત્તર પ્રદેશના લખનઉમાં બનેલી એક ઘટનાએ લોકોને સ્તબ્ધ કરી દિધા છે. ઓરોપ છે કે યૂપી પોલીસે ગોળી મારતા એક શખ્સનું મોત થયું છે. ઘટના લખનઉના પોશ વિસ્તાર ગોમતીનગરની છે જ્યાં એપલના એરિયા મેનેજર વિવેક તિવારીને યૂપી પોલીસે ગોળી મારી દિધી હતી. ગોળી મારનાર પોલીસ પોતાની ભૂલ માનવાનો ઈનકાર કરી રહ્યો છે. જ્યારે મૃતકની પત્નીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે જવાબ માંગ્યો છે.
વિવેકની પત્ની કલ્પનાએ કહ્યું કે, આ કોઈ એક્સિડન્ટ નથી. પોલીસે વિવેકની હત્યા કરી છે. તેઓ તેમની ભૂલ છુપાવવા પાયા વગરના આરોપ લગાવી રહ્યા છે. મને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસેથી જવાબ જોઈએ છે કે તેમણે મારા પતિની હત્યા કેમ કરી.
આરોપી પોલીસકર્મી પ્રશાંતે કહ્યું કે, અમે રાતે દોઢ વાગે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે અમે પૂછપરછ માટે કાર ચાલકને બહાર આવવા કહ્યું હતું પરંતુ તેણે બે-ત્રણ વાર અમારા બાઈક પર ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેથી અમારે આત્મરક્ષણ માટે ગોળી ચલાવવી પડી હતી. ત્યારપછી કાર સવાર ત્યાંથી ભાગી ગયો હતો.
વિવકે સાથે કારમાં હાજર સના ખાનની ફરિયાદના આધારે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. સનાએ ફરિયાદમાં કહ્યું છે કે, હું રાતે વિવેક સાથે ઘરે જઈ રહી હતી. સામે બે પોલીસકર્મી આવ્યા અને ગાડી રોકવા લાગ્યા હતા. વિવેકે બચવા માટે કાર સાઈડમાંથી લેવાનો પ્રયત્ન હતો. ત્યારે જ ગાડી એક બાઈક અને પછી એક અંડરપાસની દિવાલને અથડાઈ હતી.
કાર ચલાવી રહેલા યુવકનું નામ વિવેક તિવારી છે. તે સુલ્તાનપુરમાં રહેતો હતો અને આઈફોન કંપની એપલ એરિયાનો મેનેજર હતો. કારમાં તેની સહકર્મી સના ખાન પણ હાજર હતી. નૈથાનીએ જણાવ્યું કે, રાતે દોઢ વાગે કાર ગોમતીનગર વિસ્તારમાં ઉભી હતી. પેટ્રોલિંગ કરતાં પોલીસકર્મીએ પૂછપરછ કરી તો વિવેકે કાર ભગાવવાનો પ્રયત્ન કર્યો અને ગાડી દિવાલ સાથે અથડાઈ ગઈ હતી. ગોળી ચલાવનાર કોન્સ્ટેબલ પ્રશાંત ચૌધરીની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.