બેંક ખાતામાંથી ઉપાડની મર્યાદા ક્યારે દૂર થશે ? જાણો મહત્વની માહિતી
કોઈ પણ ખાતાધારક હાલ પોતાના ખાતામાંથી સપ્તાહમાં રૂપિયા 24,000થી વધુ રકમ ઉપાડી શકતો નથી. એટીએમની દૈનિક ઉપાડની મર્યાદા રૂપિયા 2500 છે. કંપનીઓ માટે ઉપાડની સાપ્તાહિક મર્યાદા 50,000 અને ખેડુતો માટે રૂ. 25,000 છે. લગ્ન હોય તેવા પરિવારો એક વખત રૂ. 2.50 લાખ ઉપાડી શકે છે.
બેન્કો દ્વારા જૂની નોટ સ્વીકારવાનુ બંધ થયાના એક દિવસ પછી એટલે કે, 31 ડિસેમ્બરથી રોકડ ઉપાડ પરનો અંકુશ દુર થશે, એવી આશા રાખવામાં આવી હતી પણ એ આશા ફળે તેવી શક્યતા નથી. વડાપ્રધાન મોદીએ ડિમોનેટાઇઝેશનની જાહેરાત વખતે લોકોને 50 દિવસ મુશ્કેલી વેઠવાની અપીલ કરી હતી.
નવી દિલ્લી: બેન્કની શાખાઓ અને એટીએમમાં ૩૧ ડિસેમ્બર પછી પણ રોકડ પૈસા ઉપાડવાની મર્યાદા હટાવવામાં નહી આવે તેવું બેન્કિંગ ક્ષેત્રના સૂત્રો જણાવે છે. આ સૂત્રોના જણાવ્યા અનુસાર રોકડનો પુરવઠો મર્યાદિત છે અને એટીએમમાં પુરતી રોકડ નથી તેથી ડિસેમ્બર પછી પણ રોકડ ઉપાડ પર અંકુશ ચાલુ રહેશે.
તેમણે 14 નવેમ્બરે ગોવામાં જણાવ્યુ હતુ કે, હું તમને તમારા સ્વપ્નોનું ભારત આપવા વચનબદ્ધ છુ. કોઇને તકલીફ થાય તો મને પણ તેની વેદના થાય છે. હું લોકોની મુશ્કેલી સમજુ છુ પણ તે માત્ર 50 દિવસ માટે જ છે. જો કે મોદીની ખાતરી છતાં 50 દિવસ પછી ઉપાડની મર્યાદા દૂર થવાની શક્યતા નહિવત છે.
બેંકિંગ સૂત્રોના અનુસાર છેલ્લા કેટલાક દિવસમાં ચલણી નોટોના સપ્લાયમાં મોટો ફેર પડયો નથી. હાલમાં રૂપિયા 2000ની નોટનો પૂરતો સપ્લાય છે પણ રૂપિયા 500ની નોટ પર્યાપ્ત પ્રમાણમાં નહી મળી રહે ત્યાં સુધી સ્થિતિમાં સુધારો નહી થાય.