diabetics eating mango: ઉનાળો આવે એટલે કેરી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે કેરી ખાવી એ કોઈ મૂંઝવણથી કમ નથી હોતું. મોટાભાગના દર્દીઓ શુગર લેવલ વધી જવાના ડરથી પોતાનું આ મનપસંદ ફળ ખાવાનું ટાળતા હોય છે. પરંતુ શું ખરેખર ડાયાબિટીસમાં કેરીથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ? જો તમને પણ આ પ્રશ્ન સતાવતો હોય, તો હેલ્થ એક્સપર્ટ લ્યુક કુટિન્હોએ આ અંગે બહુ જ સરસ માહિતી આપી છે. તેમનું કહેવું છે કે જો કેરીને યોગ્ય રીતે, સાચી વસ્તુઓ સાથે અને સાચા સમયે ખાવામાં આવે તો ડાયાબિટીસના દર્દીઓ પણ તેનો સ્વાદ માણી શકે છે. ચાલો જાણીએ આ અંગે એક્સપર્ટ શું કહે છે.

એક્સપર્ટ શું કહે છે?

Continues below advertisement
Continues below advertisement

જાણીતા લાઈફસ્ટાઈલ એક્સપર્ટ લ્યુક કુટિન્હોએ સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા જણાવ્યું છે કે, કેરીથી ડરવાની કોઈ જરૂર નથી, બસ તેને સમજદારીપૂર્વક ખાતા આવડવું જોઈએ. જો તમારું શુગર લેવલ પહેલાથી જ કંટ્રોલમાં ન હોય અથવા તો તમે રાત્રે ખૂબ વધારે કેરી ખાતા હોવ, તો તે ચોક્કસ નુકસાન કરી શકે છે. પરંતુ જો તમે સંતુલન જાળવી રાખો છો, તો કેરીને સાવ છોડી દેવાની કોઈ જરૂર નથી.

કેરીમાં કુદરતી ખાંડ (Natural Sugar) વધુ હોય છે, પણ સાથે જ તેમાં ઘણા બધા પોષક તત્વો પણ રહેલા છે. સૌથી અગત્યની વાત એ છે કે, કેરીમાં 'મેંગીફેરિન' (Mangiferin) નામનું કમ્પાઉન્ડ હોય છે, જેમાં એન્ટી-ડાયાબિટીક ગુણો રહેલા છે. એટલે જો તેને યોગ્ય રીતે ખાવામાં આવે તો તે શરીરને નુકસાન પહોંચાડવાને બદલે ફાયદો પણ કરી શકે છે.

કેરી ખાતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી?

શેની સાથે ખાવી: લ્યુક કુટિન્હોની સલાહ છે કે કેરીને ક્યારેય એકલી ન ખાવી જોઈએ. તેને હંમેશા બદામ, બીજ (Seeds) અથવા દહીં સાથે મિક્સ કરીને ખાવી જોઈએ. આવું કરવાથી શરીરમાં શુગર લેવલ એકદમથી નથી વધતું અને ગ્લુકોઝ ધીમે ધીમે રિલીઝ થાય છે, જેનાથી કેરી ખાવી સુરક્ષિત બની જાય છે.

સમય અને માત્રા: બીજી સૌથી મોટી વાત એ છે કે તમારે કેરીની માત્રા અને સમયનું ખાસ ધ્યાન રાખવું પડશે. એકસાથે વધારે પડતી કેરી ન ખાવી જોઈએ. થોડી માત્રામાં ખાઓ અને જો તમને લાગે કે શુગર વધી રહ્યું છે, તો માત્રા સાવ ઓછી કરી દો. મોડી રાત્રે કેરી ખાવાનું બિલકુલ ટાળવું જોઈએ, કારણ કે તે સમયે આપણા શરીરની પાચન પ્રક્રિયા ધીમી પડી ગઈ હોય છે.

જો શુગર લેવલ વધે તો શું કરવું?

એ સમજવું ખૂબ જરૂરી છે કે દરેક વ્યક્તિનું શરીર અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપતું હોય છે. તેથી, તમારા શરીરને સમજો અને તે મુજબ નિર્ણય લો. જો કેરી ખાધા પછી તમારું શુગર લેવલ વધી જતું હોય, તો તેના પર કંટ્રોલ કરવો જ શ્રેષ્ઠ છે. ડાયાબિટીસમાં કેરી ખાવા પર કોઈ સંપૂર્ણ પ્રતિબંધ નથી, પણ તેમાં બેદરકારી બિલકુલ ન ચાલે. યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે તમે આ ફળનો આનંદ માણી શકો છો.

(ડિસ્ક્લેમર: આ માહિતી સામાન્ય સંશોધન અને નિષ્ણાતોના મંતવ્યો પર આધારિત છે. તેને કોઈપણ મેડિકલ સલાહનો વિકલ્પ ન ગણવો. ડાયેટમાં કોઈપણ મોટો ફેરફાર કરતા પહેલા હંમેશા તમારા ડૉક્ટર અથવા હેલ્થ એક્સપર્ટની સલાહ ચોક્કસ લેવી.)