ભારતમાં સિસ્પ્લેટિન (Cisplatin) અને કાર્બોપ્લેટીન (Carboplatin) નામની બે મુખ્ય કીમોથેરાપી દવાઓની ભારે અછત છે. આ દવાઓ વિવિધ પ્રકારના કેન્સરની સારવાર માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
કેન્સરના દર્દીઓને મોટો ફટકો: અછત વચ્ચે સરકારે આ 2 મહત્વની દવાઓના ભાવ વધાર્યા
cancer drug price hike india: દેશભરમાં સર્જાયેલી અછત અને પ્લેટિનમના વધતા ભાવને કારણે સરકારે લીધો મહત્વનો નિર્ણય; ઉત્પાદન વધારવા 50 ટકા સુધીનો ભાવવધારો થવાની શક્યતા.

- સિસ્પ્લેટિન, કાર્બોપ્લેટીન દવાઓની અછત, સરકારે ભાવવધારો મંજૂર કર્યો.
- પ્લેટિનમ ભાવવધારો, વૈશ્વિક વિક્ષેપોથી દવાઓની અછત સર્જાઈ.
- AIIMS, ટાટા જેવી હોસ્પિટલોમાં અસર, વિકલ્પ ઉપલબ્ધ નથી.
- ઇમરજન્સી કલમ હેઠળ ભાવ વધ્યો, કંપનીઓ ઉત્પાદન વધારશે.
cancer drug price hike india: વૈશ્વિક તણાવ અને મોંઘવારીની અસર હવે સીધી આરોગ્ય ક્ષેત્ર પર પણ પડી રહી છે, જેનો મોટો માર કેન્સરના દર્દીઓને સહન કરવો પડી શકે છે. કેન્સરની સારવારમાં વપરાતી 2 અત્યંત મહત્વપૂર્ણ કીમોથેરાપી દવાઓ - સિસ્પ્લેટિન (Cisplatin) અને કાર્બોપ્લેટીન (Carboplatin) ની દેશભરમાં ભારે અછત સર્જાઈ છે. આ અછતને પહોંચી વળવા અને દેશમાં તેનું ઉત્પાદન ફરીથી રાબેતા મુજબ કરવા માટે, કેન્દ્ર સરકારે આ બંને દવાઓના ભાવમાં વધારો કરવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. લાંબા સમયથી ચાલી આવતી અછતના કારણે દર્દીઓની સારવાર અટવાઈ રહી હતી, જેને ધ્યાનમાં રાખીને સરકારે આકરો પરંતુ જરૂરી નિર્ણય લીધો છે.
દવાઓની અછતની વ્યાપક અસર
આ બે દવાઓની અછત એટલી ગંભીર બની ગઈ છે કે દેશની ટોચની હોસ્પિટલોમાં પણ તેની અસર વર્તાઈ રહી છે. દિલ્હીની AIIMS અને મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલ જેવી મોટી સંસ્થાઓના ડોક્ટરોએ પણ ચિંતા વ્યક્ત કરી છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, આ દવાઓ ફેફસાં, માથા, ગળા, સર્વાઇકલ અને ઓવેરિયન કેન્સર સહિત અનેક પ્રકારના કેન્સરની સારવાર માટે અત્યંત જરૂરી છે. સૌથી મોટી મુશ્કેલી એ છે કે આ દવાઓનો બીજો કોઈ સચોટ અને સંપૂર્ણ વિકલ્પ બજારમાં ઉપલબ્ધ નથી.
કેમ સર્જાઈ આ દવાની અછત?
નિષ્ણાતોનું માનીએ તો, આ દવાઓ બનાવવા માટે પ્લેટિનમ (Platinum) નો ઉપયોગ કાચા માલ તરીકે થાય છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં પ્લેટિનમના ભાવમાં 225 ટકા નો તોતિંગ ઉછાળો આવ્યો છે.
માત્ર છેલ્લા 6 મહિનામાં જ તેનો ભાવ લગભગ બમણો થઈ ગયો છે.
આ ઉપરાંત, દક્ષિણ આફ્રિકામાં ઉત્પાદનની સમસ્યાઓ અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધે સપ્લાય ચેઈનને ખરાબ રીતે ખોરવી નાખી છે.
સરકારે ભાવ વધારવાનો નિર્ણય કેમ લીધો?
આ બંને દવાઓના ભાવ લાંબા સમયથી સરકારના સીધા કંટ્રોલમાં હતા. દવા બનાવવાનો ખર્ચ વધવા છતાં, ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર (DPCO) ની મર્યાદાને કારણે ફાર્મા કંપનીઓ ભાવ વધારી શકતી ન હતી. નુકસાન જતું હોવાથી ઘણી કંપનીઓએ ઉત્પાદન ઘટાડી દીધું અથવા તો સાવ બંધ કરી દીધું. આ પરિસ્થિતિને જોતા, સરકારે DPCO 2013 ના ફકરા 19 નો ઉપયોગ કર્યો છે. આ એક વિશેષ કાયદો છે, જે ઇમરજન્સીમાં સરકારને સામાન્ય ભાવ નિયંત્રણના નિયમોની બહાર જઈને નિર્ણય લેવાની સત્તા આપે છે.
આ પણ વાંચોઃ આ 5 લક્ષણો જણાવશે કે તમને કિડનીમાં પથરી છે કે નહીં!
કેટલો વધશે ભાવ?
અહેવાલો મુજબ, નિષ્ણાતોની એક સમિતિએ એવી ભલામણ કરી છે કે દર વર્ષે 10 ટકા સુધીના વધારાને બેઝલાઇન ગણી શકાય, પરંતુ કુલ ભાવવધારો 50 ટકા થી વધુ ન હોવો જોઈએ. જોકે, અંતિમ ભાવ ખરેખર ઉત્પાદન ખર્ચમાં કેટલો વધારો થયો છે તેના આધારે જ નક્કી કરવામાં આવશે.
જો આ દવાઓની અછત લાંબો સમય રહી હોત, તો દર્દીઓની સારવારમાં વિલંબ થઈ શક્યો હોત અને કેન્સર ફરી ઊથલો મારવાનું જોખમ વધી જાત. સરકારને આશા છે કે આ ભાવવધારા પછી ફાર્મા કંપનીઓ ફરીથી મોટા પાયે આ દવાઓ બનાવવાનું શરૂ કરશે, જેથી કેન્સરના દર્દીઓને સમયસર અને પૂરતી દવાઓ મળી રહે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
Frequently Asked Questions
ભારતમાં કેન્સરની કઈ દવાઓની અછત સર્જાઈ છે?
કેન્સરની દવાઓની અછતનું મુખ્ય કારણ શું છે?
દવા બનાવવામાં વપરાતા પ્લેટિનમના ભાવમાં મોટો વધારો, દક્ષિણ આફ્રિકામાં ઉત્પાદન સમસ્યાઓ અને યુદ્ધને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ જવા મુખ્ય કારણો છે. ભાવ નિયંત્રણને કારણે કંપનીઓને ઉત્પાદન અયોગ્ય લાગતું હતું.
દવાઓની અછત દૂર કરવા સરકારે શું પગલું લીધું છે?
સરકારે સિસ્પ્લેટિન અને કાર્બોપ્લેટીન દવાઓના ભાવમાં વધારો કરવાની સત્તાવાર મંજૂરી આપી છે. આ નિર્ણય DPCO 2013 ના ફકરા 19 હેઠળ લેવાયો છે, જે ઇમરજન્સીમાં નિર્ણય લેવાની સત્તા આપે છે.
સરકારે કેન્સરની દવાઓના ભાવ વધારવાનો નિર્ણય શા માટે લીધો?
દવા બનાવવાનો ખર્ચ વધવા છતાં ભાવ નિયંત્રિત હોવાથી ફાર્મા કંપનીઓ ઉત્પાદન ઘટાડી રહી હતી. ઉત્પાદન ફરીથી શરૂ થાય અને દર્દીઓને સમયસર દવાઓ મળે તે માટે ભાવવધારો મંજૂર કરાયો છે.






















