Mahakumbh 2025 :નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ગત શનિવારે મોડી રાત્રે એક દુ:ખદ ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, પ્રયાગરાજ જવા માટે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 14, 15 પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ એકઠી થઈ હતી. જે બાદ અચાનક નાસભાગ મચી ગઈ હતી, જેમાં 15 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ રેલવેએ પ્રયાગરાજ માટે 4 વિશેષ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. હવે સવાલ એ છે કે રેલવે સ્પેશિયલ ટ્રેનો ક્યારે ચલાવે છે અને તેને લગતા નિયમો શું છે.


શું છે મામલો?


ગત શનિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ રેલવે સ્ટેશન પર મહાકુંભમાં સ્નાન કરવા જતા ભક્તોની સંખ્યા અચાનક વધી ગઈ હતી. જે બાદ મુસાફરોમાં અચાનક નાસભાગ મચી ગઈ હતી અને થોડી જ વારમાં ઘણા મુસાફરો જમીન પર પડી ગયા હતા, જ્યારે કેટલાક લોકો જીવ બચાવવા ભાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને લોક નાયક જયપ્રકાશ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં ડોક્ટરોએ 3 બાળકો સહિત 15 લોકોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે 10 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેની સારવાર ચાલી રહી છે.


4 વિશેષ ટ્રેનો દોડાવવાની જાહેરાત


આ ઘટના બાદ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર સ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે મુસાફરો માટે ચાર વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી છે. કેટલીક વધુ વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હવે સવાલ એ છે કે રેલવે સ્પેશિયલ ટ્રેનો ક્યારે ચલાવે છે અને તેને લગતા નિયમો શું છે.


વિશેષ ટ્રેનોને લગતા નિયમો શું છે?


રેલ્વે ટ્રેનોના સંચાલનને લઈને સ્વતંત્ર છે. રેલ્વે પરિસ્થિતિ મુજબ ગમે ત્યારે નવી ટ્રેનોની જાહેરાત કરી શકે છે અને ટ્રેનો કેન્સલ પણ કરી શકે છે. ખાસ કરીને તહેવારો, ઉજવણીઓ અને કોઈપણ મોટા ધાર્મિક કાર્યક્રમો પર મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા વિશેષ ટ્રેનોની જાહેરાત કરવામાં આવે છે. રેલ્વેએ મહાકુંભ માટે પ્રયાગરાજ રેલ્વે સ્ટેશન સુધી 76 થી વધુ મહાકુંભ મેળા વિશેષ ટ્રેનોનું સંચાલન કર્યું છે. મીડિયા અહેવાલો અનુસાર, પ્રયાગરાજ જંક્શનથી 43, છિવકી રેલવે સ્ટેશનથી છ, નૈનીથી ચાર, સુબેદારગંજથી ત્રણ, પ્રયાગ સ્ટેશનથી ચાર, ફફામૌથી એક, રામબાગથી ચાર અને ઝુસી રેલવે સ્ટેશનથી 11 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી છે.