અમદાવાદઃ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અમદાવાદ શહેરમાં બેન્કોમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. શહેરના સાયન્સ સીટી ખાતેની બેન્ક ઓફ બરોડામાં દસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા. એક સાથે દસ કર્મચારીઓ સંક્રમિત થતા ખાતેદારોને બેંકમાં ન આવવા સૂચના લગાવવામાં આવી છે અને બેન્ક ઓફ બરોડાની શહેરમાં આવેલ અન્ય શાખાએ જવા માટે ગ્રાહકોને સૂચના અપાઈ છે. જો કે લગ્નની સીઝનમાં બેંકના લોકરમાં પડેલા દાગીના લેવામાં ગ્રાહકોને સમસ્યા પડી રહી છે.


તે સિવાય અરવલ્લીના મોડાસાની બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમા કોરોનાએ પગપેસારો કર્યો છે. બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના મેનેજર સહિત ત્રણ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે.  બેંક મેનેજર સહિત ત્રણેયની તબિયત સ્થિર હોવાથી હોમ આઈસોલેટ થયા છે. બેંકના એકસાથે ત્રણ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આરોગ્ય વિભાગે બેંક મેનેજર સહિત ત્રણેય કર્મચારીઓના સંપર્કમાં આવનારા તમામ સ્ટાફના કોરોના ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી છે.


ગુજરાતમાં કોરોનાના કેસમાં રેકોર્ડબ્રેક વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 24,485 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. એટલું જ નહી રાજ્યમાં શહેરોમાં કોરોનાના કેસ સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં જ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 9837 કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં કોરોનાના નવા 2981 કેસ નોંધાયા છે.


બીજી તરફ 10,310  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,86,476 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 88.51 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  13 મોત થયા. આજે 2,47,111 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 9837, સુરત કોર્પોરેશનમાં 2981,  વડોદરા   કોર્પોરેશનમાં 2823,  રાજકોટ કોર્પોરેશનમાં 1333,  સુરતમાં 728,  આણંદમાં 558, ભાવનગર કોર્પોરેશનમાં 529, ગાંધીનગર કોર્પોરેશનમાં 509, જામનગર કોર્પોરેશનમાં 471, વલસાડમાં 446, ભરૂચમાં 408, વડોદરામાં 371, મહેસાણામાં 354, કચ્છમાં 346, નવસારીમાં 297, ગાંધીનગરમા 225, મોરબીમાં 206, રાજકોટમાં 188, પાટણમાં 180, બનાસકાંઠામાં 174, સુરેન્દ્રનગરમાં 156, જૂનાગઢ કોર્પોરેશનમાં 129, અમરેલીમાં 128, જામનગરમાં 128, અમદાવાદમાં 120, પોરબંદરમાં 117, ખેડામાં 112, સાબરકાંઠામાં 111, પંચમહાલમાં 110, દાહોદમાં 82, તાપીમાં 70, ભાવનગરમાં 58, દેવભૂમિ દ્વારકામાં 45, ગીર સોમનાથમાં 40, જૂનાગઢમાં 30, મહીસાગરમાં 24, અરવલ્લીમાં 18, બોટાદમાં 15, નર્મદામાં 14, ડાંગ, 9, છોટા ઉદેપુરમાં 5 નવા કેસ નોંધાયા હતા.