અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં અને લોકડાઉન થતાં પરપ્રાંતિય કામદારો પોતાના વતન જતા રહ્યા છે, ત્યારે હવે અનલોક-1માં અનેક છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે આ છૂટછાટ હેઠળ અમદાવાદમાં મેટ્રો રેલવેની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. ત્યારે આ કામગીરી માટે ઓડિશાથી ૧૦૦ શ્રમજીવીઓને ફ્લાઇટ દ્વારા અમદાવાદ લવાયા છે.


અમદાવાદમાં મેટ્રો રેલની અંડરગ્રાઉન્ડ ટનલ બનાવવાના નિષ્ણાંત ગણાતાં આ કામદારોને ઓડિશાથી લવાયા છે. મળતી માહિતી પ્રમાણે ઓડિશાથી આ કામદારોને તબક્કાવાર ફ્લાઇટમાં લાવવાનું શરૂ કરાયું છે. તેમને ગુજરાતમાં લવાયા પછી સૌપ્રથમ ક્વોરેન્ટાઇન કરાશે. ઓડિશાથી ફ્લાઇટમાં લવાયેલા કામદારો ટનલ બનાવવામાં નિષ્ણાત છે અને તેઓ કાલુપુર રેલવે સ્ટેશનમાં પોતાની કામગીરી શરૂ કરે તેવી સંભાવના છે.

જુલાઇ મહિનાના બીજા અઠવાડિયા સુધીમાં પાંચ રાજ્યોમાંથી ૩૦૦થી વધુ કામદારોને મેટ્રો રેલની કામગીરી માટે ટ્રેન-બસ દ્વારા અમદાવાદ લવાશે. ૬.૮૩ કિ.મી.ની આ ટનલ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ જે કંપનીને આપવામાં આવ્યો છે, તેમના દ્વારા જ આ કામદારોને ફ્લાઇટ દ્વારા અમદાવાદ લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાની અટકળો છે. નોંધની છે કે, ગુજરાતમાં લોકડાઉન બાદ ઓડિશાના ૧.૪૦ લાખ લોકો પોતાના વતન પરત ફર્યા હતા.