અમદાવાદઃ કોરોનાના વધી રહેલા કેસોના કારણે અમદાવાદ શહેરમાં શનિવાર અને રવિવાર એ બે દિવસ સંપૂર્ણ કરફ્યુ લાદવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે. અમદાવાદમાં એકાએક કર્ફયૂથી ઇવેન્ટ મેનેજરો અકળાયા છે. દિવસનું કર્ફ્યુ હટાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. 22 નવેમ્બરે વર્ષનું પહેલું લગ્નનું મુહૂર્ત છે. 22 તારીખે કરફ્યુ હશે તો અમદાવાદમાં 1600 લગ્ન રદ્દ થશે. માંડ માંડ રોજગાર મળ્યો તેમાં કર્ફ્યુ આવતા સ્થિતિ કફોડી બની છે. એડવાન્સ પેમેન્ટ લઈ ચૂકેલા ઇવેન્ટ મેનેજરો માટે સ્થિતિ કફોડી છે.


અમદાવાદમાં શનિવાર અને રવિવારે લાગનારા 60 કલાકનો કર્ફ્યૂ માત્ર અમદાવાદ શહેર પૂરતો જ છે. રાજ્યના અન્ય તમામ શહેરોમાં રાબેતા મુજબ કાર્ય ચાલુ રહેશે. સતત ફેલાતા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.



અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોરોના સંક્રમણને લઈ વકરી રહેલી પરિસ્થિતિન લઈ આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બેઠક યોજાયા બાદ તેમાં લેવાયેલા મહત્ત્વના નિર્ણયોની જાહેરાત કરતા અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, અસારવા સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કેન્સર અને કિડની હૉસ્પિટલમાં 400 વધુ બેડની સુવિધા કરાશે. સોલા સિવિલમાં 400 વધારાની પથારીની સુવિધા કરાશે.



જ્યારે ગાંધીનગર નજીકના વિસ્તારોના દર્દીઓ માટે ગાંધીનગર સિવિલમાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આમ, સરકારી હૉસ્પિટલોમાં 900 પથારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં વધુ 400 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. જો કે, તેમણે 2237 સરકારી હૉસ્પિટલો અને 400 બેડ ખાનગી હૉસ્પિટલોમાં હાલ ખાલી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.