અમદાવાદમાં 12 કલાકમાં 3 હત્યાના બનાવ, કાંકરિયા પાસે સગીર ફિયાન્સીની પથ્થરના ઘા મારી હત્યા
Ahmedabad News: અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી હચમચાવી દે તેવી ઘટનાઓ સામે આવી છે. છેલ્લા 12 કલાકમાં શહેરમાં ત્રણ અલગ-અલગ હત્યાના બનાવ બનતા સનસનાટી મચી ગઈ છે.

Ahmedabad News: અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી હચમચાવી દે તેવી ઘટનાઓ સામે આવી છે. છેલ્લા 12 કલાકમાં શહેરમાં ત્રણ અલગ-અલગ હત્યાના બનાવ બનતા સનસનાટી મચી ગઈ છે. બોપલ, વટવા અને મણિનગર (કાંકરિયા) વિસ્તારમાં બનેલી આ ઘટનાઓએ શહેરની સુરક્ષા પર પ્રશ્નાર્થ ચિન્હ મૂક્યું છે.
અમદાવાદ શહેર બન્યું ક્રાઈમ કેપિટલ. 12 કલાકમાં હત્યાની 3 ઘટનાથી કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠ્યા છે. બોપલ, મણિનગર બાદ વટવામાં પણ યુવકની હત્યાથી ખળભળાટ મચી ગયો. વટવામા ચાર માળિયામાં અજાણ્યો શખ્સ યુવકની હત્યા કરી ફરાર થઈ ગયો. જો કે હત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ન માત્ર વટવા પણ બોપલમાં પણ ગઈકાલે પૈસાની લેતી-દેતીમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ. મૃતક શિવા કલાસુઆએ આરોપી સુનિલ પાસે ઉછીના 2 લાખ રૂપિયા લીધા હતા. જે પાછા ન આપતા હત્યા કરી હોવાનો આરોપ લાગ્યો છે. મૃતક સામે પણ અગાઉ ચાર ગુના દાખલ થયેલા છે. તો આ તરફ રાત્રી દરમિયાન કાંકરિયામાં યુવકે તેની ફિયાન્સિને મોતને ઘાટ ઉતારી દીધી..ફિયાન્સી પર શંકા રાખી મોહમ્મદ આવેશ પઠાણે હત્યા કરી હોવાનો આરોપ લાગ્યો છે.
કાંકરિયા હત્યાકાંડ: શંકાએ લીધો 17 વર્ષની સગીરાનો જીવ
અમદાવાદના જાણીતા પર્યટન સ્થળ કાંકરિયા લેકફ્રન્ટના ગેટ નંબર 7 પાસે એક વિચલીત કરી દેતી ઘટના બની છે. ગોમતીપુર વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરાની તેના જ ફિયાન્સે કરપીણ હત્યા કરી છે.
આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો 17 વર્ષીય સગીરાની સગાઈ મહમંદ આવેશ પઠાણ નામના યુવક સાથે થઈ હતી. મળતી માહિતી મુજબ, આવેશને છેલ્લા કેટલાક સમયથી ફિયાન્સી પર શંકા હતી. આ શંકાના કારણે તે અવારનવાર તેની સાથે ઝઘડો કરતો હતો.
11 જાન્યુઆરીની રાત્રે આશરે 10:30 વાગ્યાની આસપાસ બંને કાંકરિયા ગેટ નંબર 7 પાસે મળ્યા હતા. વાતચીત દરમિયાન શંકાના મામલે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આવેશનો ગુસ્સો એટલો વધી ગયો કે તેણે ત્યાં પડેલા કોટાસ્ટોનના ધારદાર પથ્થરના ઘા ફિયાન્સીના માથા અને શરીર પર ઝીંકી દીધા હતા. ગંભીર ઇજાઓને કારણે સગીરાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ મણિનગર પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આરોપી મહમંદ આવેશ પઠાણની અટકાયત કરી લીધી છે અને તેની સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તો બીજી તરફ અમદાવાદમાં માત્ર 12 કલાકમાં થયેલી ત્રણ હત્યાઓએ પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે. ખાસ કરીને કાંકરિયા જેવી જાહેર જગ્યાએ સગીરાની હત્યાથી લોકોમાં ભયનો માહોલ છે.























