અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
Ahmedabad News:અમદાવાદ રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં ખેડાના યુવક સહિત 9ના મોત થયા છે. આજે મૃતકના વિકલાંગ પિતાએ આશાસ્પદ પુત્રને અંતિમ વિદાય આપી,જાણીએ વધુ અપડેટ્સ

- અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં નવના મૃત્યુ થયા છે.
- મૃતકોમાં બાળકો, શ્રમિકો, મહિલાઓ; પરિવારોમાં શોક વ્યાપ્યો.
- શ્રમિકો મૂળભૂત સુવિધા વિના ખતરનાક સ્થિતિમાં કામ કરતા.
- AMC રિપોર્ટમાં સુરક્ષા છતાં ગેરકાયદે ઉત્પાદન પર સવાલ.
Ahmedabad News: અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા 9 પર પહોંચી છે. આ દુર્ઘટનામાં ખેડા જિલ્લાના કપડવંજના સૈયદવાળા વિસ્તારના 20 વર્ષીય અશરાર (અસરાલઅલી) ઈરફાનઅલી ઇનાયતઅલી સૈયદનું પણ કરુણ મોત થયું છે. યુવક અમદાવાદમાં પોતાની માસીના ઘરે રહી ફેક્ટરીમાં કામ કરતો હતો.
મૃતક અશરારના પાર્થિવ દેહને વતન કપડવંજ લાવવામાં આવ્યો હતો, જ્યાં વિકલાંગ પિતા ઈરફાનઅલી સૈયદે ભારે હૃદયે પુત્રને અંતિમ વિદાય આપી હતી. રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા પિતા માટે એકમાત્ર આશાસ્પદ પુત્રના મોતથી સમગ્ર સૈયદવાળા વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
આ દુર્ઘટનામાં ત્રણ બાળકો સહિત 4 શ્રમિકોના જીવ ગયા છે. મૃતકોમાં 14 વર્ષીય રવિના, 14 વર્ષીય શિવાની, 16 વર્ષીય રિંકુ, 37 વર્ષીય રમીલાબેન ભરતભાઈ ચારેલ, 6 વર્ષીય વિરલ ઉર્ફે નીરવ ભરતભાઈ ચારેલ, 38 વર્ષીય સવિતાબેન સુરેશભાઈ ડામોર, 45 વર્ષીય ઉષાબેન ગોવિંદભાઈ ડામોર, 20 વર્ષીય અશરાર ઈરફાનઅલી સૈયદ અને 25 વર્ષીય અઝરુદ્દીન રૂકનુદ્દીન કાઝીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ
બીજી તરફ, બ્લાસ્ટ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ટીમે મોડી રાત્રે પ્રાથમિક તપાસ રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટમાં ઘટનાસ્થળે અગ્નિશામક સાધનો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, કારખાનાને મળતી પરવાનગી AMCના કાર્યક્ષેત્રમાં આવતી નથી તેવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
ઘટનાસ્થળે પહોંચેલી મીડિયા ટીમના રિયાલિટી ચેકમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. ફેક્ટરીના માલિક મેહૂલ ડોડીયાએ ખેતરમાં જ ઝૂંપડાં બનાવી શ્રમિકોના રહેવાની વ્યવસ્થા કરી હતી. અહીં વીજ કનેક્શન જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ નહોતી. શ્રમિકોને દૈનિક રૂ. 400થી 500ના વેતન પર જોખમી પરિસ્થિતિમાં કામ કરાવવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું છે.
આ સમગ્ર ઘટનાએ ગેરકાયદે ફટાકડા ઉત્પાદન, શ્રમિકોની સુરક્ષા અને ફેક્ટરીઓમાં સલામતીના ધોરણો અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. હાલ પોલીસ અને સંબંધિત વિભાગો દ્વારા બ્લાસ્ટના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે, તો બીજી તરફ આ ઘટનામાં મૃત્યુ પામેલા નિર્દોષ 9 મૃતકના પરિવજનોની સ્થિતિ પણ હૃદય વિદારક છે. મૃતકોના પરિવારોમાં ભારે શોકનો માહોલ છે.






















