અમદાવાદ: એક તરફ દેશમાં કોરોનાના ખતરનાને લઈને સરકાર સાવચેતી રાખવા કહી રહી છે તો બીજી તરફ અમદાવાદ કોર્પોરેશન કેટલાક કાર્યક્રમોને લઈને તૈયારીમાં વ્યસ્ત છે. કાંકરિયા કાર્નિવલ અને ફલાવર શો સહિતની ઇવેન્ટ માટે  AMC એ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર એમ.થેનારસન્નને ABP અસ્મિતા સાથે EXCLUSIVE વાતચીત કરી હતી.


કોરોના મામલે ડરવાની જરૂર નથી


તેમણે કહ્યું કે, કાંકરિયા કાર્નિવલમાં કોવિડની ગાઈડલાઈનનું પાલન થશે. 100 વોલન્ટિયર્સ દ્વારા કાર્નિવલમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવવામાં આવશે. કાર્નિવલમાં પ્રવેશતા તમામ મુલાકાતીઓના થર્મલ સ્ક્રીનિગ કરાશે. કોરોના મામલે ડરવાની જરૂર નથી તેવું નિવેદન મ્યુનિસિપલ કમિશનરે કહ્યું હતું. AMC એક તબક્કામાં 18000 બેડ ઉભા કરી શકે તેટલી ક્ષમતા છે. SVP, શારદાબેન અને LG હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલોમાં પણ સુવિધાઓ ઉભી કરવાની તૈયારીઓ છે.


G20 સમીટ અંગે પણ ABP અસ્મિતા સાથે કરી વાતચીત કરી


વૈશ્વિક કક્ષાની G20 સમીટ અંગે પણ ABP અસ્મિતા સાથે કરી વાતચીત કરી હતી. અલગ અલગ દેશોના પ્રતિનિધીઓ અમદાવાદ આવનાર છે. મુખ્ય બે તબક્કામાં કાર્યક્રમ યોજાનાર છે. જેમાં પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ અને ક્લાયમેન્ટ ચેન્જ અંગે ચર્ચા કરાશે. જુલાઈ મહિનામાં અન્ય એક મોટી ઇવેન્ટ શહેરમાં થનાર છે. મેયર સમીટ અમદાવાદ શહેરમાં યોજાનાર છે તે અંગે પણ AMC કામગિરી કરી રહ્યું છે. શહેરના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પાયાસભર મળી રહે તે અમારી પ્રાથમિકતા છે.


 21 ટીમો અલગ અલગ ત્રણ શિફ્ટમાં કામ કરી રહી છે


મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે, સરપ્રાઈઝ વિઝીટ દ્વારા લોકોના પ્રતિસાદ અને ફિલ્ડ ઉપરની કામગીરી જોવા મળે છે. રખડતા પશુઓનો મામલો ખરા અર્થમાં પડકાર છે. અમે 90 થી વધુ સ્થળોએ ઢોર ઉભા ન રાખવા સૂચના આપી છે. 21 ટીમો અલગ અલગ ત્રણ શિફ્ટમાં કામ કરી રહી છે. હાલ એક દિવસમાં 85 થી 90 પશુઓ પકડવામાં આવી રહ્યા છે. હાઇકોર્ટના આદેશની અવગણના ન થાય તે રીતે કામગીરીઓ કરવામાં આવી રહી છે. પશુ સંચાલકોને પણ સમયસર સૂચનાઓ આપીને પશુના કારણે નાગરિકોને કનડગત ન થાય તે અમારો હેતુ છે.