અમદાવાદઃ હાલ ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અનલોકમાં ઘણી છૂટછાટો આપવામાં આવી છે ત્યારે અમદાવાદ અનલોકની શરૂઆત બાદ મોલમાં ભેગા થતાં લોકો અને ત્યાંના કેટલાંક વેપારીઓ-કર્મચારીઓ માસ્ક નહીં પહેરતા હોવાની, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં થતું હોવાની ફરિયાદો ઉઠી હતી. જેને લઈને મ્યુનિસિપલના સોલિડ વેસ્ટ વિભાગે અમદાવાદના વસ્ત્રાપુરના સૌથી મોટા આલ્ફા-વન મોલનું કામકાજ બંધ કરાવીને તેને સીલ મારી દીધો હતો. મોલ બંધ કરાવ્યો હોવાના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અન્ય મોલવાળા પણ સાવધાન થઈ ગયા હતાં.


સોલિડ વેસ્ટ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓએ આલ્ફા મોલની મુલાકાત લીધી હતી ત્યારે ભારે ભીડ જોવા મળેલી હતી. પાછળ લીફ્ટમાં મોટી સંખ્યામાં લોકોને ભરવામાં આવતાં હતાં. સીડીમાં પણ ભીડ જોવા મળી હતી જેની તસવીરો પણ સામે આવી હતી.

ખાણીપીણીના સ્ટોલ પર લોકો માસ્ક પહેર્યાં વગર નજીક નજીક બેસીને નાસ્તા કરતાં જોવા મળ્યા હતા. વેપારીઓ અને તેમના કર્મચારીઓ પૈકી કેટલાકે માસ્ક પહેર્યાં ના હતા. કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય તે રીતે બેજવાબદારી પૂર્વક વર્તી રહ્યાં હતાં. આ સંદર્ભમાં મોલના મેનેજમેન્ટને નોટિસ ફટકારી અને પ્રવેશના દરવાજા બંધ કરી સીલ મારી દીધો છે.

નોંધનીય છે કે, શનિ, રવિ, સોમની રજાઓ સળંગ હતી. તેમજ તહેવારના દિવસો હોવાથી ખરીદી વગેરેમાં ઘણા બધાં શોરૂમ અને મોલમાં ભીડ જોવા મળી હતી. જોકે માસ્ક, સોશિયલ ડિસ્ટંટ અને સેનેટાઈઝરનો ઉપયોગ, આ ત્રણ શરતો ના પળાતી હોય તો મ્યુનિ. આવા જ કડક પગલાં લેશે તેનો આજે દાખલો બેસાડ્યો છે.