અમદાવાદઃ કોરોના સામેના જંગમાં હાલ તો રસી જ અમોઘ શસ્ત્ર છે. ત્યારે 21 જૂનથી ગુજરાત સહિત દેશભરમાં વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કરાયું છે. વેક્સિનેશન મહાઅભિયાન અંતર્ગત મહત્તમ લોકોને રસીના કવચથી સલામત કરવાનો હેતુ છે. આ અંતર્ગત પ્રથમ દિવસે 5 લાખ 11 હજારથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. જોકે ત્યારબાદ રસીકરણમાં ધીમે- ધીમે ઘટાડો થયો અને 27 જૂનના રસીકરણ ઘટીને 2 લાખ 40 હજાર નોંધાયું છે. આમ, છ દિવસમાં વેક્સિનેશનના પ્રમાણમાં 50 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા બે દિવસથી અનેક વેક્સિનેશન સેન્ટર બહાર પણ 'વેક્સિનનો સ્ટોક નથી' તેવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.


આગામી ચાર દિવસ કેટલા લોકોને અપાશે રસી


ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે અમદાવાદમાં રોજના 85 હજાર ડોઝની જરૂર છે, જેની સામે તંત્ર દ્વારા માત્ર 27 ટકા જ ડોઝ ઉપલબ્ધ કરાવાઈ રહ્યા છે. જેના કારણે છેલ્લા બે ત્રણ દિવસથી શહેરના અનેક વેક્સિનેશન સેન્ટર બહાર રસી ન હોવાના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. જ્યારે ઘણી જગ્યાએ ટોકન આપવામાં આવી રહ્યા છે, તો અમુક રસીકરણ સેન્ટર પર લોકોની ભીડને કાબુમાં રાખવા પોલીસ બોલાવામાં આવી છે. શહેરમાં કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ લઈ ચૂકેલા ઘણા લોકોને રસીકરણ કેન્દ્ર પર માત્ર કોવેક્સિન જ ઉપલબ્ધ હોવાનું કહેવામાં આવે છે. પાલડી, થલતેજ, નારણપુરા, બાગેફિરોદોશ, વટવા, નરોડા, વસ્ત્રાલ સહિત અનેક વિસ્તારમાંથી આ ફરિયાદ સામે આવી છે. રવિવારે શહેરના 282 વેક્સિનેશન સેન્ટરમાંથી માત્ર 109 સેન્ટર જ કાર્યરત હતા. સત્તાધીશોના કહેવા મુજબ આગામી ચાર દિવસ શહેરમાં માત્ર રોજ 35 હજાર લોકોને જ રસી મળશે, જે બાદ 55 હજાર લોકોને રસી અપાશે.


રવિવારે અમદાવાદમાં કેટલા લોકોને અપાઈ રસી


અપૂરતી વેક્સિનથી ગુજરાતમાં વેક્સિનેશનની ગતિમાં બ્રેક લાગી ગઇ છે. રવિવારના દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ  20 હજાર 100 લોકોને, સુરત શહેરમાં 13 હજાર 960, કચ્છમાં 10 હજાર 825, સુરત ગ્રામ્યમાં 9 હજાર 619 અને નવસારી શહેરમાં 9 હજાર 613 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. તો ગુજરાતના છેવાડાના એવા ડાંગ જિલ્લામાં માત્ર 557 અને ખેડા જિલ્લામાં 656 લોકોને જ રસી મળી છે.


અમદાવાદમાં કેટલા લોકોએ લીધી છે રસી


અત્યારસુધી અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ 28.45 લાખ વેક્સિનના ડોઝ અપાયા છે. અમદાવાદ શહેરમાંથી 23.20 લાખ લોકો પ્રથમ ડોઝ અને 5.25 લાખ લોકો રસીના બંને ડોઝ લઇ ચૂક્યા છે. બીજી તરફ ડાંગમાં માત્ર 58 હજાર 42 લોકોને કોરોના રસી અપાઇ છે. અત્યારસુધી કોવિશિલ્ડ વેક્સિન લેનારાનું પ્રમાણ 2.19  કરોડ અને કોવેક્સિન લેનારાનું પ્રમાણ 29.16 લાખ છે.


ગુજરાતમાં શું છે રસીકરણનું ચિત્ર


ગુજરાતમાં અત્યારસુધી 2 કરોડ 48 લાખથી વધુ લોકો કોરોના રસી લઇ ચૂક્યા છે. જેમાં 1.35 કરોડ પુરુષ અને 1.13 કરોડ મહિલાનો સમાવેશ થાય છે. આમ, ગુજરાતમાં મહિલા અને પુરુષ વચ્ચે રસીકરણમાં ખૂબ જ મોટો તફાવત છે. ગુજરાતમાં કરવામાં આવેલા રસીકરણ પૈકી 18-44 વયજૂથમાંથી 95.03 લાખ, 45-60 વયજૂથમાં 84.06 લાખ, 60થી વધુ વયજૂથમાં 69.94 લાખ લોકો કોરોના રસી લઇ ચૂક્યા છે.