અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ (Ahmedabad Corona Cases) બુલેટ ગતિએ વધી રહ્યું છે.શુક્રવારે શહેરમાં નવા ૨૮૪૨ કેસ નોંધાયા છે.ઉપરાંત ૨૫ લોકોનાં મોત થયા છે. શહેરમાં બે દિવસની અંદર કોરોનાના કુલ ૫૪૭૩ કેસ નોંધાવાની સાથે કુલ ૫૨ લોકોના મોત થતાં શહેરમાં કોરોના સંક્રમણની ભયાવહ પરિસ્થિતિ જોવા મળી રહી છે. કોરોનાથી (Coronavirus) ચેઈન તોડવા અમદાવાદમાં લોકો સ્વૈચ્છિક લોકડાઉન (Self Lockdown)  નાંખી રહ્યા છે.


અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટડાવા લોકો સ્વૈચ્છિક બંધ પાળી રહ્યા છે. કાલુપુર માર્કેટમાં વેપારીઓએ દુકાનની બહાર વીક એન્ડમાં દુકાનો બંધ રહેશે તેવી નોટિસ લગાવી છે. દુકાનદારો સ્વેચ્છાએ માર્કેટ બંધ કરી રહ્યા છે.


માણેકચોકના ચોકસી બજાર એ બે દિવસ સુધી માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. શનિ અને રવિવારે માણેક ચોકમાં સોના-ચાંદીની ખરીદી કરવા માટે લોકો મોટી સંખ્યામાં આવે છે અને જ્યારે ભીડ એકઠી થાય છે ત્યારે સંક્રમણ ફેલાવાનો ડર સૌથી વધારે રહેતો હોય છે.  તેને ધ્યાનમાં રાખીને માણેકચોક ચોક્સી બજારના વેપારીઓ દ્વારા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


અમદાવાદના ખોખરામાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છીક બંધ પાળવામાં આવ્યો છે. 250 જેટલા ધંધાકીય એકમો શનિવાર અને રવિવારે બંધ રહેશે.


શહેરના નિકોલ વિસ્તારમાંમાં શુક્રવારથી 5 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લગાવાયું છે.


ધોળકાઃ ધોળકાના બદરખા ગામમાં 17 એપ્રિલથી 21 એપ્રિલ  સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરાયો છે. ગામમાં શાકભાજી અને કરિયાણાની દુકાન સવારે 6 થી 11 સુધી જ ખુલ્લી રહેશે. દૂધની ડેરી અને ઘંટી 6 થી 8 વાગ્યા સુધી કુલ્લી રહેશે. લોકડાઉનનું પાલન નહીં કરનારા સામે ચુસ્ત કાર્યવાહી કરાશે.


વિરમગામઃ વિરમગામમાં  શનિ અને રવિવારના રોજ સંપૂર્ણપણે બજારો બંધ રહેશે. બંધ તા. ૩૦ એપ્રિલ સુધી અમલી રહેશે.


ખેડાઃ ખેડામાં આજથી 25 તારીખ સુધી ખેડામાં સ્વૈચ્છીક લોકડાઉન રહેશે. ખેડા શહેર ની તમામ દુકાનો સવારે ૬ થી બપોરે ૩ વાગ્યા સુધી ખુલ્લી રહેશે..મેડિકલ સ્ટોર અને દૂધ ની દુકાનો ને મુક્તિ આપેલ છે.


અમદાવાદમાં શું છે કોરોનાનું ચિત્ર


શુક્રવારે શહેરમાં નવા ૨૮૪૨ કેસ નોંધાવા પામ્યા છે.આ સાથે જ ગત વર્ષથી અત્યાર સુધીમાં શહેરમાં કુલ ૯૦૬૦૫ કેસ નોંધાઈ ગયા છે,શુક્રવારે ૪૯૧ દર્દીઓને રજા આપવામાં આવતા અત્યાર સુધીમાં શહેરમાં કુલ ૭૩૦૨૩ લોકો કોરોના મુકત થયા છે.શુક્રવારે વધુ ૨૫ લોકોનાં મોત થતાં શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૨૫૦૫ લોકોનાં મરણ થવા પામ્યા છે.