અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદ ખેંચાતાં ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. જોકે, ચોમાસું સક્રિય થવાના યોગ જોતાં ગુજરાતમાં આગામી 21 જુલાઈથી 23 જુલાઈ દરમિયાન ઝાપટાં પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત ગુજરાતમાં ફરીથી 26મી જુલાઈથી ચોમાસુ સક્રિય થવાના યોગ જોવા મળી રહ્યા છે.

આ દરમિયાન 28મી જુલાઈથી 03 ઓગસ્ટ સુધી સાર્વત્રિક સારો વરસાદ પડી શકે છે તેમ હોવાનું હવામાન જ્યોતિષી અંબાલાલ દા.પટેલે જણાવ્યું હતું. જોકે હાલ જે વિસ્તારોમાં વરસાદની ઘટ વર્તાઈ રહી છે ત્યાં ઓગસ્ટમાં ભરપાઈ થઈ જવાના યોગ જોવા મળે છે. ચોમાસું આગામી દિવસોમાં તેની ઝડપ પકડશે અને સાર્વત્રિક સારો વરસાદ પડશે.

સારા વરસાદ માટે વરસાદી સિસ્ટમ સક્રિય ન થઈ હોવાનું હવામાન વિભાગ જણાવી રહ્યું છે. જોકે દક્ષિણ તરફથી આવતા પવનને કારણે વાદળ છાયું વાતાવરણ રહેશે. આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની શક્યતા સેવાઈ રહી છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમા સામાન્ય વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે. આગામી ત્રણ દિવસોમાં છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી અને દમણ જેવા વિસ્તરોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં વરસાદ માટે હજી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ નથી જેના કારણે ગુજરાતને સારા વરસાદ માટે રાહ જોવી પડશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને આજુબાજુના વિસ્તારોમાં હળવો વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, મોરબી સહિત કચ્છમાં પણ સામાન્ય વરસાદ પડવાની આગાહી છે.