અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે ગાંધી આશ્રમથી શરૂ થનારી દાંડી યાત્રા માટે અમદાવાદ આવી રહ્યા છે. દેશની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો પ્રારંભ તા.12 માર્ચના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં થશે અને તેનો પ્રથમ કાર્યક્રમ 21 દિવસની દાંડીયાત્રાને વડાપ્રધાન ફલેગ ઓફ કરશે.  આ યાત્રામાં નરેન્દ્ર મોદી પણ ચાલશે.  સાથે સાથે કેન્દ્રીય મંત્રીઓ પણ થોડો સમય પદયાત્રા કરશે. આ યાત્રા અમદાવાદના સાબરમતીથી રવાના થશે.


વડાપ્રધાન આ માટે ખાસ અમદાવાદ આવશે.  આ યાત્રામાં ગાંધીજીના 81 અનુયાયીઓ જોડાશે.  1930માં ઐતિહાસિક દાંડી યાત્રા સમયે મહાત્મા ગાંધીએ જે માર્ગો પર આ યાત્રા યોજી હતી. તેના પર જ આ યાત્રા આગળ વધશે. અમદાવાદમાં સાબરમતી આશ્રમ નજીક જ સ્વ.વડાપ્રધાન મોરારજી દેસાઈની સમાધી ‘અક્ષર ઘાટ’ પર ખાસ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.   કેન્દ્રના સાંસ્કૃતિક વિભાગ દ્વારા મૂળ દાંડીયાત્રામાં જેમણે ભાગ લીધો હતો તેમના કુટુંબીજનોને ખાસ હાજરી આપવા જણાવશે.   તેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા હાજર રહેશે. આ માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ છે. મોદી હાલમાં જ કેવડીયા કોલોની ખાતે જોઈન્ટ કમાન્ડની બેઠકમાં હાજરી આપવા આવ્યા હતા. આ માસમાં તેમની બીજી ગુજરાત મુલાકાત હશે.