અમદાવાદ : અમદાવાદ શહેરના ઘી કાંટા વિસ્તારથી એક જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના બની છે. જૂનું મકાન પડતાં અંદર 3 લોકો દટાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરબ્રિગેડની ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.
ડ્રેનેજ કામ દરમિયાન મકાન ધરાશાયી
ઘી કાંટાવિસ્તારમાં પોળમાં એક જર્જરિત મકાન અચાનક ધરાશાયી થયું. મકાન ધરાશાયી થયું ત્યારે કોર્પોરેશન દ્વારા ત્યાં ડ્રેનેજ લાઈનનું કામ ચાલી રહ્યું હતું. ડ્રેનેજની કામગીરી દરમિયાન થયેલી ધ્રુજારીથી મકાન ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં 3 લોકો મકાન નીચે દટાયા હોવાની આશંકા હતી. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
મકાન ધરાશાયી થતા તંત્રમાં દોડધામ મચી ગઈ
ઘી કાંટા વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં જ મનપા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમ અને પોલીસ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી હાથ ધરતાં મકાનમાં દટાયેલા લોકોને બચાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા.
હમામની પોળમાં મકાન ધરાશાયી થયું
ઘી કાંટા વિસ્તારમાં આવેલ મોટી હમામની પોળમાં મકાન ધરાશાયી થયું હતું. મધ્યઝોનના ડેપ્યુટી કમિશનર રમ્યા ભટ્ટ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, ડ્રેનેજ નાખવાની કામગીરી ચાલી રહી હતી પરંતુ સાંકડા રોડ હોવાથી મશીનરી પોળમાં લાવવામાં આવી ન હતી. બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમને બહાર કાઢવાની કામગીરી કરાઈ છે.
આસપાસના વિસ્તારોને ખાલી કરવામાં આવ્યા
ડેપ્યુટી કમિશનર રમ્યા ભટ્ટે કહ્યું કે, હાલમાં આસપાસના વિસ્તારોને ખાલી કરવામાં આવ્યા છે અને મકાનનો કાટમાળ દૂર કરવાની કામગીરી કરવામાં આવશે. અંદાજે 50 વર્ષ જૂનું મકાન હતું અને મકાનને ભયજનક હોવાની નોટિસ અપાઈ હતી કે કેમ તે તપાસ શરૂ કરવામાં આવી છે. આસપાસના સ્થાનિકોના નિવેદન અનુસાર બેથી ત્રણ મહિના પહેલા મકાનનું સમારકામ કરાવવામાં આવ્યું હતું જે બાદ તેની દીવાલ અગાઉથી ત્રાસી હતી.
કોર્પોરેશન દ્વારા અહીં ડ્રેનેજ લાઈનનું કામ ચાલી રહ્યું હતું. આ ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન થયેલી ધ્રુજારીથી મકાન ધરાશાયી થયું હતું. મકાન તૂટી પડતા થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી.