અમદાવાદઃ ગુજરામાં કોરોનાનું સંક્રમણ ધીમું પડી રહ્યું છે, જેને કારણે એક્ટિવ કેસો હવે ફક્ત 151 જ રહ્યા છે. આ સાથે રાજ્યના 18 જિલ્લા કોરોનામુક્ત બની ગયા છે. આ જિલ્લામાં અત્યારે એક પણ એક્ટિવ કેસ નથી. આ સિવાય 4 જિલ્લા એવા છે, જ્યાં એક-એક જ એક્ટિવ કેસ છે, ત્યારે આ જિલ્લા પણ ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. 


ગુજરાતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 6 જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ કોરોનામુક્ત બન્યા છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લી જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. 


મધ્ય ગુજરાતમાં ખેડા, આણંદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભરુચ, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10  નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 151 એક્ટિવ કેસ છે અને 3 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે 8,15,213 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે. રાજ્યમાં આજે કોરોનાની સાત લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.


રાજ્યમાં અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,213 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10081 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. સુરત કોર્પોરેશન ત્રણ, વડોદરામાં બે, વડોદરા કોર્પોરેશનમાં બે, અમદાવાદ કોર્પોરેશનમાં એક, ગાંધીનગર કોર્પોરેશનમાં એક, અને કચ્છમાં એક કોરોનાનો કેસ નોંધાયો હતો.


રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 31  લોકોને પ્રથમ ડોઝ અને 6027 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 1,11,020 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1,06,350 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ ઉપરાંત 18-45 વર્ષનાં 3,40,594 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 1,59,958 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યા છે. આ પ્રકારે 7,23,980 ડોઝ આજના દિવસમાં અપાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,77,42,696 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.


અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ,  ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર,  ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જુનાગઢ,જુનાગઢ કોર્પોરેશન, ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, અને વલસાડમાં એક પણ કોરોના વાયરસનો કેસ નથી નોંધાયો.