અમદાવાદમાં મસાલામાં ભેળસેળનો પર્દાફાશ, મરચું, હળદર, ધાણાજીરુંમાં ડાઈ કલરની કરતા ભેળસેળ
ગુજરાતમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળખોરો સામે આરોગ્ય વિભાગે ફરી એકવાર કડક કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળખોરો સામે આરોગ્ય વિભાગે ફરી એકવાર કડક કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના માધુપુરામાં ફૂડ વિભાગે દરોડા પાડી ડાઈ કલરની ભેળસેળવાળા મરચું, હળદર અને ધાણાજીરું પાઉડરનો અંદાજે 12.5 લાખ રૂપિયાનો 2 હજાર કિલોથી વધુનો જથ્થો જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ મસાલા 'કેસરીનંદન સ્પાઈસીસ' નામથી બજારમાં વેચાતા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ વડોદરામાં પણ મહાનગરપાલિકાએ શંકાસ્પદ ખાદ્ય તેલ અને અન્ય ખાદ્યપદાર્થો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે.
રખિયાલની તપાસ બાદ ખુલ્યો ભેળસેળનો ભાંડો
અમદાવાદમાં થોડા દિવસ પહેલાં રખિયાલ વિસ્તારમાં આવેલી જય અંબે ભોજનાલયમાંથી ગ્રેવીનો નમૂનો લેવામાં આવ્યો હતો. લેબોરેટરી તપાસમાં આ નમૂનો 'અનસેફ' જાહેર થયો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગ્રેવી બનાવવામાં ઉપયોગમાં લેવાયેલા મસાલા શંકાસ્પદ હતા. આ કડીના આધારે ફૂડ વિભાગે સપ્લાય ચેઇનની તપાસ શરૂ કરી હતી.
માધુપુરાની જય માતાજી ટ્રેડર્સમાં દરોડા
તપાસ દરમિયાન અધિકારીઓ માધુપુરા વિસ્તારમાં આવેલી જય માતાજી ટ્રેડર્સ સુધી પહોંચ્યા હતા. અહીં 'કેસરીનંદન સ્પાઈસીસ' નામે મરચું, હળદર અને ધાણાજીરું પાઉડરનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં મસાલામાં ડાઈ કલરની ભેળસેળ કરીને તેને બજારમાં વેચવામાં આવતો હોવાનો પ્રાથમિક ખુલાસો થયો છે.
12.5 લાખનો 2 હજાર કિલો મસાલો જપ્ત
દરોડા દરમિયાન ફૂડ વિભાગે કુલ 2 હજાર કિલો મસાલાનો જથ્થો કબજે કર્યો હતો. તેમાં આશરે 1 હજાર કિલો તૈયાર પેકિંગવાળો મસાલો અને 1 હજાર કિલો લૂઝ મસાલા પાઉડરનો સમાવેશ થાય છે. આ જથ્થાની અંદાજિત કિંમત 12 લાખ 50 હજાર રૂપિયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
મસાલાના સેમ્પલ તપાસ માટે મોકલાયા
ફૂડ વિભાગે મરચું, હળદર અને ધાણાજીરું પાઉડરના સેમ્પલ લઈ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. હવે લેબોરેટરીના રિપોર્ટના આધારે મસાલાની ગુણવત્તા અને તેમાં થયેલી ભેળસેળ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. જો નિયમોનું ઉલ્લંઘન સાબિત થશે તો સંબંધિત વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
વડોદરામાં પણ આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
અમદાવાદ બાદ વડોદરામાં પણ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ભેળસેળખોરો સામે લાલઆંખ કરી છે. અકોટા, વારસિયા, ગોરવા અને સરદાર એસ્ટેટ સહિતના વિસ્તારોમાં ખાદ્ય તેલના વેપારીઓ અને વિવિધ એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
976 કિલો શંકાસ્પદ પામોલીન તેલ સીઝ
કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ રીફાઇન્ડ પામોલીન તેલનો અંદાજે 976 કિલો શંકાસ્પદ જથ્થો સીઝ કર્યો હતો. ઉપરાંત મરચા પાવડર, રતલામી સેવ અને રીફાઇન્ડ પામોલીન ઓઇલ સહિત કુલ 10 ખાદ્યપદાર્થોના નમૂના ગુણવત્તાની તપાસ માટે લેવામાં આવ્યા છે.
લેબોરેટરી રિપોર્ટ બાદ થશે કડક કાર્યવાહી
અમદાવાદ અને વડોદરામાં લેવામાં આવેલા તમામ નમૂનાઓ ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જો તપાસમાં ભેળસેળ અથવા ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન સાબિત થશે તો સંબંધિત વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો સામે આરોગ્ય વિભાગની આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહે તેવી શક્યતા છે.






















