અમદાવાદઃ બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન સામે આવતા ભારત સરકાર એલર્ટ થઈ ગઈ છે અને ભારતે 31 ડિસેમ્બર સુધી બ્રિટનથી આવતી તમામ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ 22 ડિસેમ્બર રાત્રે 11.59 વાગ્યાથી 31 ડિસેમ્બર રાત્રે 11.59 વાગ્યા સુધી અમલમાં રહેશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી આ અંગે સોમવારે જાણકારી આપવામાં આવી હતી.


જોકે, આજે બ્રિટનથી 246 મુસાફરો અમદાવાદ આવવાના છે. આ તમામ મુસાફરોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. તેમજ રિઝલ્ટ ના આવે ત્યાં સુધી મુસાફરોને એરપોર્ટ બહાર નહીં જવા દેવાય. મુસાફરોને સ્વખર્ચે RTPCR ટેસ્ટ કરાવવો પડશે. રિઝલ્ટ આવતા 6 થી 8 કલાકનો સમય થઇ શકે છે. એટલું જ નહીં, ક્રુ મેમ્બર્સને ઇન્ટરનલ ટર્મિનલમાં જ રહેવું પડશે. ટેસ્ટ પોઝિટિવ આવશે તો મુસાફરોને ક્વોરોન્ટાઇન કરાશે. ટેસ્ટ નેગેટિવ આવશે તો 7 દિવસ આઇસોલેશનમાં રહેવું પડશે

નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે અમે અસ્થાયી રીતે બ્રિટનથી આવનાર અને ત્યાં જનાર બધી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવી રહ્યા છીએ. બધા યાત્રી જે બ્રિટનથી ભારત આવી રહ્યા છે તેમણે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો અને સાત દિવસ ક્વોરન્ટાઇનમાં રહેવું ફરજિયાત રહેશે.

UKમાં વાઈરસ વધુ ઘાતક બનવાની ભીતિને પગલે અમદાવાદ સહિત ભારતના કોઇપણ એરપોર્ટ પર UKની ફ્લાઈટમાં આવતા કે UK થઈને આવતી ફ્લાઈટમાં આવતા તમામ મુસાફરો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મુસાફરોએ ફરજીયાત RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. ટેસ્ટ પોઝિટિવ આવે તો ક્વોરન્ટાઈન થવું પડશે. માત્ર એટલું જ નહીં, ટેસ્ટ નેગેટિવ આવે તો પણ 7 દિવસ ક્વોરન્ટાઈન થવું પડશે.