હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચે આ ચુકાદો આપ્યો છે. સ્વ નિર્ભર શાળા સંચાલકો તરફથી કોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી કે, રાજ્ય સરકાર વાસ્તવિક શાળા શરૂ ના થાય ત્યાં સુધી ફી વસુલવી નહીં એવો ઠરાવ બહાર પાડી શકે નહીં. આ ઠરાવ કાયદાથી વિપરીત છે.
કોર્ટે કહ્યું, વાલીઓની સમસ્યા, શાળાઓના ખર્ચ વચ્ચે સંતુલન જરૂરી છે. રાજ્ય સરકારે કહ્યું, અમે શાળા સંચાલકો સાથે સંવાદ કર્યો, પણ શાળા સંચાલકો કોઈ જાતના નેગોસિયેશન માટે તૈયાર નહોતા. કોર્ટે કહ્યું, શાળા સંચાલકો પણ અમારી સામે છે જ એમનો કેસ લઈને. અમે જરૂરી નિર્દેશ આપીશું. વાટાઘાટો રિઝનેબલ હોવી જોઈએ.
શાળા સંચાલકોએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી કે અમે રાજ્ય સરકાર સમક્ષ ફરી વાટાઘાટો માટે તૈયાર છીએ. ખુલ્લા મન અને ખુલ્લા હ્યદય થી વાટાઘાટો કરીશું. એડવોકેટ જનરલે કહ્યું, કોર્ટે આ સ્ટેટમેન્ટ પોતાના હુકમમાં ટાંકવું જોઈએ, કરણ કે અગાઉની વાટાઘાટોમાં ખુલ્લા મન દેખાયા નહોતા. ફી મુદ્દે રાજ્ય સરકારનો પરિપત્ર હાઇકોર્ટે રદ્દ કર્યો છે. પરિપત્રના બાકી મુદ્દાઓ કોર્ટ યથાવત રાખશે. વિગતવાર હુકમ થોડા દિવસોમાં કોર્ટ જારી કરશે. કોર્ટે શાળા સંચાલકોને કહ્યું, ભણાવાનું ચાલુ રાખો, અમે સંતુલન બનાવવા મુદ્દે હુકમમાં નોંધ કરીશું.