gujarat local body election 2026: અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરના એક આક્રમક નિવેદને રાજકીય ગરમાવો લાવી દીધો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ધારાસભ્યએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, તેઓ વેજલપુર વિધાનસભામાં બીજું 'ચંડોળા તળાવ' નહીં બનવા દે. તેમણે મતદારો સામે સીધો વિકલ્પ મુકતા કહ્યું કે, જેમને ગાર્ડન અને સુવિધાઓ જોઈએ છે તે ભાજપને મત આપે અને જેમને ચંડોળા જેવી સ્થિતિ જોઈએ છે તે કોંગ્રેસને મત આપે. દબાણ કરનારાઓ અને બુટલેગરો સામે લાલ આંખ કરતા તેમણે ઉમેર્યું હતું કે, તેઓ બુટલેગરો સાથે બેસીને વોટ લેનારા માણસ નથી.
ઠાકરે જણાવ્યું કે જે વાતો તેઓ અહીં બોલે છે તે જ વાતો દરેક જગ્યાએ ડર્યા વગર કહેશે. તો જુહાપુરાની પણ અમિત ઠાકરે વાત કરી હતી. જાહેર સભામાં જુહાપુરા અને જોધપુર વિસ્તારની તુલના કરીને અત્યંત આક્રમક નિવેદન આપ્યું. તેમણે મતદારોને સીધો સંદેશ આપતા કહ્યું કે જો તેઓ જુહાપુરાને ચંડોળા જેવું ગીચ અને અવિકસિત રાખવા માંગતા હોય તો કોંગ્રેસ કે AIMIMને વોટ આપે, પરંતુ જો તેને જોધપુર જેવો આધુનિક અને વિકસિત વિસ્તાર બનાવવો હોય તો ભાજપને પસંદ કરે. ઠાકરે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ અને AIMIM જેવી પાર્ટીઓ ધર્મના નામે રાજકારણ કરીને જુહાપુરાના વિકાસમાં અવરોધ ઉભો કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ભાજપ સરકાર રોડ, ગટર, પાણી અને લાઈબ્રેરી જેવી તમામ સુવિધાઓ આપવા તૈયાર છે, પણ તે માટે મતદારોએ વિકાસની રાજનીતિને સ્વીકારવી પડશે. જોધપુર અને બોડકદેવના વિકાસના ઉદાહરણો આપીને તેમણે જુહાપુરાના લોકોને આહ્વાન કર્યું કે હવે 25 વર્ષના પછાતપણાને છોડીને ભાજપ સાથે જોડાઈને ચાર ગણો વિકાસ મેળવે.
અમિત ઠાકરના નિવેદન પર ઈમરાન ખેડાવાલાએ પલટવાર કર્યો છે. ખેડાવાલાએ કહ્યું કે ચૂંટણી સમયે જ આવી રાજનીતિ થાય છે. ભાજપ પાસે મત માંગવા માટે બીજા કોઈ મુદ્દા નથી. કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવવા સરકારી પ્રશાસનનો ઉપયોગ થાય છે. બુટલેગરો ભાજપમાં મોટા હોદ્દાઓ લઈને બેઠા છે
MLA મેવાણીએ કોંગ્રેસના કાર્યકરોના વિરોધને કારણે બદલવું પડ્યું બેઠકનું સ્થળ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈ કોંગ્રેસમાં કકળાટ યથાવત છે. વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક જીજ્ઞેશ મેવાણીને કોંગ્રેસના જ કાર્યકરોના વિરોધને પગલે ચાંદખેડા વોર્ડમાં પ્રચાર માટે બેઠકનું સ્થળ બદલવાની ફરજ પડી હતી. 18 એપ્રિલે જીગ્નેશ મેવાણી ચાંદખેડા વોર્ડમાં પ્રચાર માટે આવવાના હતા. જે માટે અગાઉ આઈ.ઓ.સી.રોડ પર આવેલા સ્નેહપ્લાઝામાં કરિશ્મા એવેન્યુમાં મિટિંગનુ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ સ્થાનિક કાર્યકર્તાઓના વિરોધના કારણે જગ્યા બદલી હેમાંગી ફલેટના કોમનપ્લોટમાં રાખવામાં આવી હતી. તેમજ પ્રચારમાં કોંગ્રેસના એકમાત્ર ઉમેદવાર સુબોધ કુમુદ જ જોવા મળ્યા હતા. પેનલના અન્ય ઉમેદવારો પણ પ્રચારમાં હાજર રહ્યા નહતા. જેથી સ્ટાર પ્રચારકે માત્ર એક ઉમેદવાર સુબોધ કુમુદ અને અન્ય કાર્યકર્તાઓને સાથે રાખીને પ્રચાર કરવો પડ્યો હતો.
ચાંદખેડામાં MLA જીજ્ઞેશ મેવાણી અને ઉમેદવારો વચ્ચે ડખો ઉભો થયો છે. પ્રચાર માટે ચાંદખેડા પહોંચેલા મેવાણી સાથે કોંગ્રેસના જ 3 ઉમેદવાર જોડાયા ન હતા. મેવાણીએ સુબોધ મુકુદને લઈને એકલો પ્રચાર કર્યો હતો. પેરાશૂટ ઉમેદવારને લઈ કોંગ્રેસમાં વિવાદ ચાલી રહ્યો છે. મેવાણી જ્યાં બેઠક કરવાના હતા તે સ્થળે કાર્યકરોએ તાળું માર્યું હતું. મેવાણીએ કાર્યકરોના વિરોધને લઈ બેઠકનું સ્થળ બદલવું પડ્યું હતું. ચાંદખેડાની બજારમાં પ્રચાર માટે નીકળેલા મેવાણીની પરિસ્થિતિ હાસ્યાસ્પદ બની હતી. પોતાને આક્રમક ગણાવતા મેવાણીની કોંગ્રેસના જ ઉમેદવારોએ ફજેતી કરી હતી. ત્રણ ઉમેદવારો પ્રચારમાં ન જોડાતા મેવાણીનું સૂરસૂરયું થયું હતું. ચાંદખેડાથી રાજશ્રી કેસરી, વર્ષા કટારા, સુધીર પટેલ, સુબોધ કોંગ્રેસના ઉમેદવાર છે.
