અમદાવાદ: આગામી 12થી 14 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે. અંદાજે 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે જેના કારણે સંભવિત ભારે વરસાદને કારણે નુકસાનની ભીતિ સેવામાં આવી રહી છે. હાલ વાવાઝોડું અરબી સમુદ્રમાં વેરાવળથી 930 કિમી દૂર લક્ષદ્વીપ ટાપુની આસપાસ છે અને તે સરેરાશ 30થી 50 કિમીની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.

ડિપ્રેશનમાંથી આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયેલી હોઈ જે કાંઠે ટકરાય ત્યાં ભારે તોફાન આવે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહે છે. જેને કારણે 12થી 14 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં 5થી 7 ઈંચ જેટલો વરસાદ થોડાં જ કલાકોમાં ખાબકી જાય તેવું લાગી રહ્યું છે.

ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં 12 અને 13 જૂનના રોજ વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થતાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. હાલ પ્રેશર સિસ્ટમ ડિપ્રેશન ધીમે ધીમે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહી છે.

ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવે છે. કચ્છ, અમરેલી, ભાવનગર, સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, પોરબંદર, દ્વારકામાં પણ ભારે વરસાદ પડવાની આશંકા સેવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.

રાજ્યના તમામ પોર્ટ પર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. વાયુ વાવાઝોડાના પગલે ગુજરાતમાં ચોમાસાનું શેડ્યુલ ખોરવાશે. ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું જૂલાઈ મહિનાથી શરૂ થાય તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું.

વાયુ વાવાઝોડાની અસરથી 12થી 14 જૂન દરમિયાન સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને ભારે પવનો ફૂંકાશે. તેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં તેજ પવન સાથે વરસાદી ઝાપટાં પડશે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પવન ફૂંકાશે અને હળવો વરસાદ પડશે. જેના કારણે લાંબા સમયથી હીટ વેવનો સામનો કરી રહેલા લોકોને રાહત મળશે. ઝડપી ગતિનાં ભેજવાળા પવનોથી તાપમાન 4થી 8 ડિગ્રી ગગડશે.