અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની ૧૪૪ મી રથયાત્રાને હવે બસ ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે હજુ રાજ્ય સરકારે રથયાત્રા ને લઈને કોઈ પણ પ્રકારનો નિર્ણય નથી કર્યો, પરંતુ સરકાર અત્યારે ત્રણ એક્શન પ્લાન બનાવી રહી છે. જે દિવસે રથયાત્રા નીકળવાની હોય ત્યારે રથયાત્રાના રૂટ ઉપર કર્ફ્યુ લગાવવામાં આવી શકે છે, જેથી કરીને લોકોની ભીડ એકત્રિત ન થાય અને સંક્રમણ નો ડર ન રહે. 


બીજો એક્શન પ્લાન રથયાત્રાના સમય મર્યાદામાં ઘટાડો કરે અને ત્રીજો એક્શન પ્લાન જો સંક્રમણનો ફેલાવાનો ડર રાજ્ય સરકારને સતાવતો હોય તો મંદિર પરિસરની બહારથી લઈને જમાલપુર દરવાજા અને સપ્તર્ષિના આરાથી આ રથયાત્રા નિજ મંદિરે પરત ફરે તેવી વિચારણા સરકાર કરી રહી છે.


જોકે, મંદિર ટ્રસ્ટ દ્વારા અત્યારે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. મંદિરમાં લોકો મગનો પ્રસાદ અર્પણ કરવા માટે આવે છે. સાથે જ દોઢસો જેટલા ખલાસીઓ વેક્સિનેશન સાથે રથયાત્રામાં ખેંચવા માટે જોડાય તેવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે.


જોકે, ગત વર્ષે આ રથયાત્રા ખંડિત થઈ હતી પરંતુ હવે મોટાભાગના લોકો વેક્સિન લીધી હોવાના કારણે એવું અનુમાન લગાવી રહી છે કે માત્ર ખલાસી અને મંદિર ટ્રસ્ટ તેમજ મંદિરના સેવકો સાથે રથયાત્રા નીકળે. સવારના સાત વાગ્યાથી લઈને ચાર કલાકમાં રથયાત્રા નિર્ધારિત રૂટ ઉપરથી પસાર થાય  અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ પણ 12 મી જુલાઇએ ગુજરાતના પ્રવાસે આવવાના છે ત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અમિત શાહ આ વખતે પણ ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રામાં મંગળા આરતીનો લ્હાવો લેશે અને ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરશે કે જલ્દીથી કોરોના થી મુક્તિ મળે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક દિવસની ટૂંકી મુલાકાતે ગુજરાત આવશે. 12મી જુલાઈનાં રોજ જગન્નાથ રથયાત્રાની મંગળા આરતીમાં પરિવાર સાથે હાજર રહેશે. ત્યારે હવે અમદાવાદમાં રથયાત્રા યોજાય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.  જોકે, કડક પ્રતિબંધો વચ્ચે રથયાત્રાનાં આયોજન અંગેની મંજુરી મળે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.