મગફળીની ઓછી આવકના કારણે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. સિંગતેલનો ડબ્બો ૨૯૦૦ રૂપિયા અને કપાસિયા તેલનો ડબ્બો ૨૯૭૫ રૂપિયા પર પહોંચ્યો છે.
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Edible Oil Price Hike: ગુજરાતમાં તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલાં જ ગૃહિણીઓના બજેટ પર મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે. રાજ્યમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે સીધો 10 રૂપિયાનો વધારો ઝીંકાયો છે.

- સિંગતેલ, કપાસિયા તેલ ડબ્બે ₹10 મોંઘા; ભાવ વધ્યા.
- સિંગતેલ ₹2900, કપાસિયા ₹2975 થયા; મગફળીની અછત કારણ.
- તહેવારો ટાણે નકલી ખાદ્યપદાર્થો સામે રાજ્યમાં કડક કાર્યવાહી.
- સુરત, રાજકોટ, ગાંધીનગરમાં ભેળસેળિયા સામે તંત્રના દરોડા.
Edible Oil Price Hike: ગુજરાતમાં તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલાં જ ગૃહિણીઓના બજેટ પર મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે. રાજ્યમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે સીધો 10 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આ ભાવવધારા બાદ હવે સિંગતેલના ડબ્બાનો ભાવ 2900 રૂપિયાની સપાટી વટાવી ગયો છે, જ્યારે કપાસિયા તેલનો ડબ્બો 2975 રૂપિયા પર પહોંચી ગયો છે. બજારમાં મગફળીની ઓછી આવકના કારણે ખાદ્યતેલના ભાવમાં આ ભડકો જોવા મળી રહ્યો છે. જોકે, સરકારી સંસ્થા નાફેડ (NAFED) પોતાના ગોડાઉનમાં પડેલી મગફળીના જથ્થાનું વેચાણ શરૂ કરે તો ભાવમાં ઘટાડો થઈ શકે છે. વર્તમાન સ્થિતિ જોતાં આગામી દિવસોમાં હજુ પણ તેલના ભાવ વધવાની શક્યતા દર્શાવાઈ રહી છે, પરંતુ નવરાત્રી બાદ બજારમાં નવી મગફળીની આવક શરૂ થતાં જ લોકોને ખાદ્યતેલના ભાવમાં મોટી રાહત મળશે.
સુરતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર તંત્રની કડક કાર્યવાહી
બીજી તરફ, રાજ્યમાં તહેવારો ટાણે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા તત્વો સામે અન્ન અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કડક સપાટો બોલાવવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં પ્રતિબંધ મુકાયા બાદ પણ સુરત મહાનગરપાલિકા દ્વારા એનાલોગ ખાદ્યપદાર્થો સામેની કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે. તંત્ર દ્વારા સુરત મનપાના તમામ ઝોનમાં સઘન ચેકિંગ હાથ ધરીને એનાલોગ ઉત્પાદન, વેચાણ તેમજ સંગ્રહ કરતી કુલ 100 જેટલી સંસ્થાઓની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સ્થળ પરથી મળી આવેલ આશરે 68 કિલોગ્રામ જેટલો એનાલોગ પનીર, ચીઝ અને બટરનો શંકાસ્પદ જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જનતાના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અન્ન અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આગામી સમયમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
રાજકોટમાં એનાલોગ ઉત્પાદનો વેચતી 5 પેઢીઓના લાઈસન્સ સસ્પેન્ડ
રાજકોટ શહેરમાં પનીરના નામે વેચાતા અને ઉત્પાદન થતા બોગસ એનાલોગ ઉત્પાદનો સામે ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા વિશેષ ચેકિંગ અભિયાન દરમિયાન આઠ જેટલી વિવિધ પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં નિયમોનું ઉલ્લંઘન જણાતાં અન્ન અને ઔષધ નિયામક તંત્ર દ્વારા આઠમાંથી પાંચ પેઢીઓના લાઈસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ગાંધીનગર નજીક નકલી ઘી અને માવાની ફેક્ટરીનો પર્દાફાશ
ગાંધીનગર નજીક કેમિકલ કલર અને એસેન્સ ભેળવીને નકલી ઘી બનાવતી ફેક્ટરી પર પોલીસે દરોડો પાડી મોટો પર્દાફાશ કર્યો છે. તંત્ર દ્વારા સ્થળ પરથી રૂ. 48 લાખની કિંમતનો આશરે 9300 કિલો શંકાસ્પદ ઘીનો હજારો લિટર જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગાંધીનગર પોલીસે સ્થળ પરથી બે થી અઢી હજાર કિલો જેટલો શંકાસ્પદ માવો પણ કબ્જે કર્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે તમામ શંકાસ્પદ ખાદ્યપદાર્થોના સેમ્પલ લઈને ગુણવત્તા ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
Before You Go
Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
Frequently Asked Questions
ખાદ્યતેલના ભાવમાં શા માટે વધારો થયો છે?
આગામી સમયમાં ખાદ્યતેલના ભાવ કેવા રહેશે?
આગામી દિવસોમાં ભાવ વધવાની શક્યતા છે, પરંતુ નવરાત્રી બાદ નવી મગફળીની આવક શરૂ થતાં ભાવમાં રાહત મળી શકે છે. નાફેડ દ્વારા મગફળીના વેચાણથી પણ ભાવ ઘટી શકે છે.
સુરતમાં એનાલોગ ખાદ્યપદાર્થો સામે શું કાર્યવાહી થઈ?
સુરત મનપા દ્વારા એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતી ૧૦૦ સંસ્થાઓની તપાસ કરાઈ હતી. ૬૮ કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો સ્થળ પર જ નાશ કરાયો હતો.
ગાંધીનગર નજીક કયા કૌભાંડનો પર્દાફાશ થયો છે?
ગાંધીનગર નજીક કેમિકલ અને એસેન્સ ભેળવીને નકલી ઘી તથા માવો બનાવતી ફેક્ટરી પકડાઈ છે. ૪૮ લાખનો ૯૩૦૦ કિલો નકલી ઘી અને ૨૫૦૦ કિલો માવો જપ્ત કરાયો છે.





















