PM નરેન્દ્ર મોદીના પરીવારમાં કોણ કોણ છે? જુઓ આ રહી પરીવારની તસવીર
abpasmita.in | 01 May 2019 03:13 PM (IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાનાભાઈ પ્રહલાદભાઈના પત્નીનું 55 વર્ષે નિધન થયું હતું. ગુજરાતના સસ્તા અનાજ દુકાનદાર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદભાઇ મોદીના પત્નીનું સારવાર દરમિયાન નિધન થયું હતું.
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાનાભાઈ પ્રહલાદભાઈના પત્નીનું 55 વર્ષે નિધન થયું હતું. ગુજરાતના સસ્તા અનાજ દુકાનદાર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદભાઇ મોદીના પત્નીનું સારવાર દરમિયાન નિધન થયું હતું. જોકે નરેન્દ્ર મોદી પરીવારમાં કોણ કોણ છે તેના પર એક નજર કરીએ. નરેન્દ્ર મોદી વડનગરના વતની છે. તેમના પરિવારમાં કુલ છ ભાઈ-બહેનો છે. નરેન્દ્ર મોદીના પિતા વડનગરમાં ચાની કિટલી ચલાવતા હતા. નિમ્ન વર્ગના પરિવારના હોવા છતાં નરેન્દ્ર મોદી અને તેમના ભાઈ-બહેનોને સારું શિક્ષણ મળ્યું છે. નરેન્દ્ર મોદીના માતા હિરાબા હાલ નરેન્દ્ર મોદીના નાનાભાઈ સાથે ગાંધીનગરમાં રહે છે. નરેન્દ્ર મોદીના સૌથી મોટાભાઈ સોમાભાઈ દામોદરદાસ મોદી ગુજરાતના આરોગ્ય વિભાગમાં કર્મચારી હતા. જોકે તેઓ નિવૃત થઈ ગયા છે અને લોકોની સેવામાં સમય વ્યતિત કરે છે. સોમાભાઈએ પોતાના વતન વડનગરમાં વૃદ્ધાશ્રમ શરૂ કર્યો છે. જ્યાં વડીલોની સેવા કરવામાં આવે છે. અમૃતભાઈ દામોદરદાસ મોદી તેમના બીજા ભાઈ છે. પ્રહલાદભાઈ દામોદરદાસ મોદી નરેન્દ્ર મોદીના ભાઈ છે જે અત્યારે અમદાવાદમાં રહે છે. પંકજભાઈ દામોદરદાસ મોદી તેમના સૌથી નાનાભાઈ છે. નરેન્દ્ર મોદીના માતા હિરાબા પંકજભાઈ સાથે ગાંધીનગરમાં રહે છે. નરેન્દ્ર મોદીને એક બહેન પણ છે. તેમનું નામ વાસંતીબહેન છે. વાસંતીબહેનના લગ્ન હસમુખભાઈ મોદી સાથે થયા છે. હસમુખભાઈ એલઆઈસીમાં કર્મચારી છે અને વિસનગરમાં રહે છે.