અમદાવાદઃ ગુજરાતમાં કોવિડ-19 (Covid_19)ની રસી આપવાની તૈયારી કરી દેવાઈ છે ત્યારે  ગાંધીનગર ખાતે આજે મળેલી કેબિનેટ મીટિંગમાં કોરોનાની રસી આપવા માટેનાં સેન્ટર નક્કી કરાયા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત  કોરોનાની રસી આપવા માટે કરાયેલી વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.


આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, કોરોના વેક્સીનની રસી આપ્યા બાદ રસી લેનારને 30 મિનિટ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. આ  માટે વેક્સીન સેન્ટર પર ત્રણ અલગ-અલગ રૂમ હશે. વેક્સિન સેન્ટર પર વેઈટિંગ રૂમ, વેક્સીનેશન રૂમ, ઓબ્ઝર્વેશન રૂમ બનાવવામાં આવશે. આજની કેબિનેટ બેઠકમાં ગુજરાતમાં જિલ્લાવાર દરેક  તાલુકામાં ક્યાં  રસી અપાશે એ માટેનાં સ્થળ પણ નક્કી કરાયાં હોવાની માહિતી હાલ મળી રહી છે. જેમને રસી આપવાની હશે તેને SMSથી જાણ કરવામાં આવશે. હાલ કોરોનાની વેક્સીન માટે અધિકારી – કર્મચારીઓની ઓનલાઈન ટ્રેનિંગ શરૂ પણ કરી દેવામાં આવી છે.


સરકારનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે વેક્સિનેશન) માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે. રાજ્યના તમામ 33  જિલ્લા અને 248 તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ટાસ્ફ ફોર્સની રચના કરવામાં આવી છે. ગુજરાતમાં વેક્સિનના સ્ટોરેજ માટે ઝોન કક્ષાએ 6 વેક્સિન સ્ટોર, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ 41 સ્ટોર અને છેક અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચવા 2,189 કોલ્ડ ચેઇન પોઇન્ટ આજની પરિસ્થિતિએ તૈયાર રાખવામાં આવ્યા છે તમામ સ્ટોર ખાતેના સાધનોનું ટેકનિકલ ઓડિટ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ મતી ડૉ. જયંતી રવિએ રાજયમાં વેક્સિનેશનના આયોજનની વિગતવાર માહિતી આપી હતી.