ગુજરાત પર સાઈક્લોનિક સરક્યુલેશનની અસર, કેટલા દિવસ સુધી ગુજરાતમાં પડશે સાર્વત્રિક વરસાદ? જાણો વિગત
abpasmita.in | 28 Sep 2019 09:53 AM (IST)
ગુજરાતમાં શનિવારથી મંગળવારની વચ્ચે વ્યાપક પ્રમાણમાં વરસાદ પડી શકે છે. ચોમાસુ હજુ પૂરું થયું નથી. સૌરાષ્ટ્ર અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે.
અમદાવાદ: હજુ આગામી દિવસોમાં ભારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી ચાર દિવસ એટલે કે મંગળવાર સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે. ગુજરાતમાં આ વર્ષે સીઝનનો સરેરાશ 129% વરસાદ પડ્યો છે. શુક્રવારે પડેલા વરસાદ બાદ અમદાવાદમાં સીઝનનો 101% સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજકોટમાં છેલ્લા 102 વર્ષનો સૌથી વધારે વરસાદ નોંધાયો છે. રાજકોટમાં આ મહિને 1361 મિલીમીટર વરસાદ નોંધાયો છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના રેકોર્ડ પ્રમાણે, 1917 બાદ પહેલીવાર આટલો વરસાદ પડ્યો છે. ગુજરાત હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે કહ્યું કે, ગુજરાતમાં શનિવારથી મંગળવારની વચ્ચે વ્યાપક પ્રમાણમાં વરસાદ પડી શકે છે. ચોમાસુ હજુ પૂરું થયું નથી. સૌરાષ્ટ્ર અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જે આગામી 24 કલાકમાં લો-પ્રેશરમાં ફેરવાશે. આગામી 48 કલાકમાં સ્પષ્ટ લો-પ્રેશરમાં પરિવર્તિત થશે. આ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે.