અમદાવાદઃ ગુજરાતમાં રવિવાર સુધી એમ ત્રણ દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં આજે વરસાદ પડ્યો છે. આજે સુરતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સુરત જિલ્લાના કેટલાંક વિસ્તારમાં વહેલી સવારથી વરસાદી છાંટા પડી રહ્યા છે. મોડી રાત્રે કામરેજ, મહુવા વિસ્તારમાં ડિસ્ટબન્સ સર્જાયું હતું. ગુરૂવારે બપોરે મહુવા વિસ્તારમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો. નવસારીના વાંસદા તાલુકાના બારતાડ અને ઉનાઈ ગામમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છાંટા પડ્યા હતા. સમગ્ર સુરત જિલ્લામાં હાલ વાદળ છાયું વાતાવરણ છવાયું છે. આજે સવારથી સુરત, નવસારી, તાપી અને અમરેલી સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો.


સૌરાષ્ટ્રમાં ગીર પંથકમાં સવારથી વરસાદી વાતાવરણ સાથે ધીમી ધારે વરસાદ પડ્યો હતો. ગીર ગઢડા, ધોકડવા, બેડીયા, નગડીયા, જસાધાર, મહોબતપરા, ગીર જંગલમા ધીમી ધારે વરસાદ પડ્યો હતો. ગીર વિસ્તારમાં સવારથી અચાનક વાતાવરણ પલટો આવતા કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમી ધારે છાંટા પડ્યા હતા. આ વરસાદી વાતાવરણથી ઘઉં, ચણા, તલ, ડુંગળી, કેરી વગેરે જેવા પાકોને નુકસાન થવાનો ખેડૂતોને ભય છે.

અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. સાવરકુંડલાના વિજપડીમાં સામાન્ય વરસાદી છાંટા પડ્યા હતા. સાવરકુંડલા શહેરમાં પણ છાંટા પડ્યા હતા. ખાંભામાં પણ સામાન્ય છાંટા પડ્યા હતા. દરિયા કિનારાના રાજુલા પંથકના પીપાવાવ, વિક્ટર સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો.

અમરેલીના જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. ભાકોદર, વારાસ્વરૂપ,કોવાયા સહિતના ગામડાઓમાં થોડીવાર માટે ઝરમર વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથના ઉનામા દેલવાડામાં વહેલી સવારે ઝરમર વરસાદ ખાબક્યો હતો. ગીરના વાતાવરણમાં વહેલી સવારથી પલટો આવ્યો હતો.

હવામાન વિભાગે ત્રણ દિવસ સુઘી વરસાદની આગાહી કરી છે અને 12 ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના કિનારાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. સાથે ઠંડી પણ ઘટવાની શક્યતા છે. અરબ સાગરમાં ચક્રવાતની અસરથી આ માવઠું થવાની શક્યતા છે. અલબત્ત ચક્રવાતની અસર ગુજરાતના ભાગોમાં ન થાય અને ચક્રવાત સમુદ્રમાં સમાઈ જાય કે ઓમાન તરફ ફંટાઈ જાય એવી પણ શક્યતા છે. રાજ્યના અનેક ભાગોમાં આજે એટલે ગુરુવાર રાત્રિથી હવામાનમાં પલટો આવશે અને ત્રણ દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે.

દક્ષિણ ગુજરાતમાં 10 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર સુધી છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 10 ડિસેમ્બર બાદ વાતાવરણમાં પલટો જોવા મળશે. ત્યાર બાદ 13 ડિસેમ્બર ને રવિવાર સુધીમાં ગમે ત્યારે આ વિસ્તારમાં માવઠું પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ અને નવસારી-વલસાડમાં જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય-ગુજરાતમાં વરસાદ પડે તેવી વકી છે.