અમદાવાદ: દિવાળીના તહેવારમાં ગીર સોમનાથના અરબી સમુદ્રમાં સર્જાયેલાં ‘ક્યાર’ નામના વાવાઝોડાનો કહેર જોવા મળી રહ્યો છે. વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રનો સમુદ્ર તોફાની બન્યો છે. દ્વારકાના હરીકુંડમાં દિવાલ તોડીને દરિયાનું પાણી મંદિરમાં ઘૂસી ગયું હતું.

સમુદ્ર તટે મહાકાય મોજાઓ ઉછળી રહ્યા છે જ્યારે વેરાવળ બંદરમાં ફિશિંગ બોટો કાંઠા પર લાવીને બાંધી દેવામાં આવી છે. જોકે ‘ક્યાર’ વાવાઝોડાના કારણે ગુજરાતમાં છેલ્લા કેટલાંક દિવસોથી વાતાવરણ અચાનક પલટાઈ ગયું છે. જેને કારણે દિવાળીના દિવસે જ ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ જોવા મળ્યો હતો.

વેરાવળ બંદરમાં ફિશિંગ બોટો રાખવાની જગ્યા ખૂટી પડી છે. વેરાવળના દરિયામાં 150થી વધુ ફિશિંગ બોટો જોખમી સ્થિતિમાં છે. બંદરમાં જગ્યા ના હોવાના કારણે દરિયામાં લંગર નાખી રાખવાની ફરજ પડી રહી છે.

‘ક્યાર’ વાવાઝોડાને પગલે અમરેલી જિલ્લાના જાફરાબાદ અને પીપાવાવ દરિયામાં પણ કરંટ જોવા મળ્યો હતો. જાફરાબાદના દરિયા કિનારે હાલ બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે. જેના કારણે જાફરાબાદ બંદર ઉપર 700 ઉપરાંત બોટો લગરી દેવામાં આવી છે અને માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

જાફરાબાદના દરિયાકિનારે પણ 15 ફૂટથી વધારે ઊંચા મોજા ઉછળતાં જોવા મળ્યા હતાં. જાફરાબાદ અને પીપાવાવ દરિયાકિનારે સારો કરંટ જોવા મળ્યો હતો. દ્વારાકાના દરિયામાં ભારે કરંટના કારણે ગોમતીઘાટ કિનારે પાણી ફરી વળ્યાં હતા. ગોમતીઘાટ કિનારાના મંદિરોમાં પાણી ઘૂસ્યા હતા. ગોમતીઘાટ કિનારે આવેલ 5 જેટલાં મંદિરોમાં પાણી ફરી વળતાં ભક્તોને દર્શન અને પૂજા અર્ચના કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી હતી.

હજુ 31 તારીખ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે જ્યારે અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.