અમદાવાદમાં રખડતાં ઢોરે વધુ એક યુવકનો જીવ લીધો છે. નરોડા વિસ્તારમાં બાઈક સવાર યુવકને ઢોરે અડફેટે લીધો હતો. જેમાં યુવકના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ યુવકનું મોત થયું છે. યુવકનું નામ ભાવિન પટેલ હોવાની માહિતી છે. આ સાથે જ પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કર્યો છે.  અમદાવાદમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. જેથી લોકોમાં પણ ભારે રોષનો માહોલ છે. 


ખડતા ઢોરની અડફેટમાં આવતા યુવકને માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી. આથી ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ભાવિન પટેલને બ્રેઈનમાં મલ્ટિપલ હેમરેજ થયું હોવાનું તબીબી રિપોર્ટમાં સામે આવ્યું હતું. જોકે અંતે યુવકને માથાના ભાગમાં ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત ભાવિન પટેલનું મૃત્યુ થયું છે. 


રાજ્યભરમાં સપ્ટેમ્બર મહિનામાં કુલ 471 લોકોના રખડતા ઢોરના કારણે અકસ્માત સર્જાયા છે. આ 471 લોકોને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં સોથી વધુ અમદાવાદમાં 52 લોકોના અકસ્માત થયા છે. જ્યારે અમરેલીમાં 17, આણંદમાં 8, અરવલ્લીમાં 17 લોકો, બનાસકાંઠામાં 21, ભરૂચમાં 10 અને ભાવનગરમાં 19 લોકોના અકસ્માત થયા છે.


કેજરીવાલનો દાવો- 'સરકારી રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં આપની સરકાર બની રહી છે'


અરવિંદ કેજરીવાલ અને ભગવત માને કચ્છથી બે દિવસના પ્રવાસની શરૂઆત કરી છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગાંધીધામ જાહેરસભામાં હાજરી આપી હતી. સભામાં જનમેદની ઉમટી પડી હતી. અરવિંદ કેજરીવાલે ગાંધીધામમાં સભાને સંબોધિત કરતાં ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રીને દર મહિને 5 હજાર યુનિટ વીજળી ફ્રી મળે છે. ભાજપના લોકો મને ખૂબ ગાળો આપે છે. મંત્રીઓને ચાર હજાર યુનિટ વીજળી ફ્રી મળે છે. રોજગારીને લઈ કેજરીવાલે ગુજરાત સરકાર પર નિશાન સાધ્યું હતું. 


કેજરીવાલે પોતાના ભાષણની શરૂઆત કચ્છી બોલીથી કરી હતી અને પછી ગુજરાતીમાં કહ્યું કે, મજામાં. તેમણે કહ્યું કે, કોંગ્રેસને મત આપીને પોતાનો વોટ ખરાબ નથી કરવા માંગતા. આ વખતે ઇશ્વરે તમને મોકો આપ્યો છે. એવા મત આપો કે, દિલ્લી અને પંજાબનો પણ રેકોર્ડ તૂટી જાય. એટલી મોટી બહુમતી આપો કે અમે જે વચનો આપ્યા છે, તે તમામ પૂરા કરી શકીએ. તેમણે કચ્છમાં દરેક જિલ્લામાં મોટી હોસ્પિટલ ખોલવાની જાહેરાત કરી હતી તેમજ મફતમાં સારવારની જાહેરાત કરી હતી. 


તેમણે એક સર્વેની વાત કરીને દાવો કર્યો કે, એક સરકારી રિપોર્ટ આવ્યો છે. એ રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં  આપની સરકાર બની રહી છે. મોટી બહુમતીથી સરકાર બની રહી છે. આ રિપોર્ટ આવ્યો ત્યારથી તેઓ પાગલ થઈ ગયા છે. મને માહિતી મળી છે કે, બંને પાર્ટીની સિક્રેટ મીટિંગ ચાલું થઈ ગઈ છે. તેમજ તેઓ આમ આદમી પાર્ટીને રોકવા માંગે છે. તેઓ ઈચ્છે છે કે ભાજપ કે કોંગ્રેસ ગમે તે આવે પણ આમ આદમી પાર્ટીની સરકાર ન બનવી જોઇએ.