Baramulla Terrorist Attack: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની કાયરતાપૂર્ણ હરકતો વધી રહી છે. પુંછ બાદ હવે બારામુલ્લામાં પણ  નાપાક યોજનાઓને અંજામ આપ્યો છે.


જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં એક નિવૃત્ત SSPની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ગોળી માર્યા બાદ શંકાસ્પદ આતંકવાદીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આતંકીઓએ મસ્જિદ પર પણ ગોળીબાર કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદીઓની કાયરતાપૂર્ણ હરકતો વધી રહી છે. પુંછમાં સેનાના વાહન પર ગુપ્ત રીતે હુમલો કર્યા બાદ હવે તેઓએ નિવૃત્ત પોલીસ અધિકારીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.


કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કર્યું છે કે, આતંકવાદીઓએ શેરી બારામુલાના ગંતમુલાના રહેવાસી મોહમ્મદ શફી પર હુમલો કર્યો હતો. નિવૃત્ત એસએસપી પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. તેમના પર આ હુમલો ત્યારે થયો જ્યારે તેઓ મસ્જિદમાં અઝાન આપી રહ્યા હતા. ગોળી વાગવાથી તેણે જીવ ગુમાવ્યો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું છે કે સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. લોકોને આ વિસ્તારથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.


પૂંછમાં સેનાના વાહનો પર આતંકી હુમલો


 છેલ્લા કેટલાક અઠવાડિયામાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુરુવારે, આતંકવાદીઓએ કેન્દ્રશાસિત પ્રદેશના પુંછ જિલ્લામાં સૈન્યના જવાનોને ઘેરી સર્ચ ઓપરેશન સાઇટ પર જઈ રહેલા વાહનો પર હુમલો કર્યો. આતંકવાદીઓના આ કાયરતાપૂર્ણ કૃત્યમાં સેનાના પાંચ જવાન શહીદ થયા હતા, જ્યારે ત્રણ જવાન ઘાયલ થયા હતા. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર કેટલાક સૈનિકોના હથિયારો પણ લૂંટી લેવામાં આવ્યા હતા.


ત્રણ લોકોના શંકાસ્પદ મોત


બીજી તરફ પૂંછમાં આતંકવાદી હુમલાને લઈને પૂછપરછ માટે લાવવામાં આવેલા ત્રણ લોકોના મોતને લઈને હોબાળો મચી ગયો છે. સેનાએ જે ત્રણ લોકોને પૂછપરછ માટે બોલાવ્યા હતા તેઓના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા હતા. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં શંકાસ્પદ લોકોને ટોર્ચર કરતા બતાવવામાં આવ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હજુ સુધી આ મામલે સેના અને સિવિલ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓ દ્વારા કંઈ કહેવામાં આવ્યું નથી.


જોકે, સાવચેતીના ભાગરૂપે પૂંછ અને રાજૌરી જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. અફવાઓ ફેલાતી અટકાવવા અને બેફામ તત્વોને કાયદો અને વ્યવસ્થા ખોરવતા અટકાવવા માટે આ કરવામાં આવ્યું છે. શાંતિ જાળવવા માટે જિલ્લાઓના સંવેદનશીલ વિસ્તારોમાં અર્ધલશ્કરી દળોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.