Anant Ambani Engagement: ગુજરાતના જાણીતા બિઝનેસ ફેમિલી સાથે જોડાયા સંબંધ, આદિવાસીઓને ભોજન માટે પહેલું આમંત્રણ આપ્યું.


ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિમાંથી એક મુકેશ અંબાણીના પુત્ર અનંતની સગાઈ ગુજરાતના જાણીતા બિઝનેસ ફેમિલી, એન્કોર હેલ્થકેરના CEO વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા સાથે થઈ. રાજસ્થાનના શ્રીનાથજીમાં આ બંનેના પરિવાર અને નજીકના સંબંધીઓની હાજરીમાં સગાઈની વિધિ કરવામાં આવી હતી.


અંબાણી પરિવારે તેમની પુત્રી ઈશા અંબાણીનાં સંતાનની ખુશીમાં શ્રીનાથજી મંદિરમાં વિશેષ પૂજા-પાઠ અને નગર મિજબાનીનું પણ આયોજન કર્યું છે. મુકેશ અંબાણી નાના બન્યાની ખુશીમાં નાથદ્વારા શહેરના દરેક ઘરે મીઠાઈનાં પેકેટ વહેંચશે.


આદિવાસીઓને આપ્યું પ્રથમ આમંત્રણ 


આ પ્રસંગ અંતર્ગત બંને પરિવાર તરફથી સ્થાનિક આદિવાસી પરિવારોને ભોજન માટેનું પ્રથમ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. શ્રીનાથજી મંદિર પુષ્ટિ માર્ગનું મુખ્ય સ્થાન છે અને અંબાણી પરિવારને તેમના શરૂઆતના દિવસોથી જ આ મંદિરમાં ખૂબ જ શ્રદ્ધા છે. જ્યારે આ મંદિરમાં અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ અન્નકૂટ પર આદિવાસીઓને પ્રથમ અધિકાર છે. આ સમગ્ર કાર્યક્રમને પાલના મનોરથ અને ચંવરી મનોરથ કહેવામાં આવે છે. પાલના મનોરથ સંતાન પ્રાપ્તિની ખુશીમાં કરવામાં આવે છે, જ્યારે ચંવરી મનોરથ શુભ કાર્યક્રમોના પ્રસંગે કરવામાં આવે છે.


આખરે કોણ છે રાધિકા મર્ચન્ટ?


રાધિકા મર્ચન્ટ, વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી છે. દેશના ટોચના ઉદ્યોગપતિમાં વિરેનની ગણના થાય છે, તેઓ એનકોર હેલ્થકેરના CEO છે. રાધિકાએ તેનું સ્કૂલિંગ મુંબઈમાં કર્યું હતું. ત્યાર બાદ તે અભ્યાસ માટે ન્યૂયોર્ક ગઈ હતી. ત્યાં તેણે પોલિટિક્સ અને ઇકોનોમિક્સનો અભ્યાસ કર્યો હતો. ગ્રેજ્યુએશન પછી 2017માં તેણે ઈસપ્રાવા ટીમના એક એક્ઝિક્યુટિવ તરીકે જોડાઈ હતી. તેને રીડિંગ, ટ્રેકિંગ અને સ્વિમિંગ ગમે છે. રાધિકા દેખાવમાં ખૂબ જ સુંદર છે. રાધિકા અને અનંત બાળપણથી એકબીજાને ઓળખે છે. રાધિકા અને અનંતનો એકસાથે ફોટો 2018માં વાઇરલ થયો હતો. ફોટોમાં બંને મેચિંગ ગ્રીન આઉટફિટ્સમાં જોવા મળ્યાં હતાં.


પ્રોફેશનલ ક્લાસિકલ ડાન્સર છે રાધિકા


રાધિકા એક ટ્રેન્ડ ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સર છે. આ જ વર્ષના જૂન મહિનામાં અંબાણી પરિવારે તેમની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ માટે આરંગેત્રમ સમારોહનું આયોજન કર્યું હતું. આ સમારોહમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ ત્યાં પહોંચ્યા હતા. સમારંભમાં રાધિકા ક્લાસિકલ ડાન્સ કરતી હોવાના કેટલાક વીડિયો સામે આવ્યા હતા.


સૌથી વધુ રાજસ્થાન અને ગુજરાતના લોકો શ્રીનાથજીમાં ધરાવે છે આસ્થા


શ્રીનાથજીનું મંદિર રાજસમંદ જિલ્લાના ઉદયપુરથી લગભગ 50 કિમી દૂર છે. શ્રીનાથજી બ્રજથી 1672માં આવ્યા હતા. શ્રીનાથજી વૈષ્ણવ સંપ્રદાયના પ્રમુખ દેવ છે. રાજસ્થાન અને ગુજરાતના લોકો શ્રીનાથજી મંદિરમાં સૌથી વધુ આસ્થા ધરાવે છે. શ્રીનાથજી મંદિર વલ્લભ સંપ્રદાયનું મુખ્ય સ્થાન છે. દેશની અનેક હસ્તીઓ અને ઉદ્યોગપતિઓ શ્રીનાથજીનાં દર્શન કરવા આવતા હોય છે. અંબાણી પરિવાર અનેક પ્રસંગોએ નાથદ્વારાની મુલાકાત લઈ ચૂક્યો છે.