Terrorist attack: જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ભારતીય સેનાના કેમ્પ પર આતંકી હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. માંજકોટ વિસ્તારના ગ્લુટી ગામમાં આર્મી પોસ્ટ પર તૈનાત એક જવાન પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં એક જવાન ઘાયલ થયો હતો.                                                                                                                                                   

  


 આ ફાયરિંગ દરમિયાન એલર્ટ સિક્યોરિટી પોસ્ટ પર તૈનાત જવાને પણ આતંકીઓ પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના સવારે 3.50 કલાકે બની હતી. અંધારાનો ફાયદો ઉઠાવીને આતંકીઓ ભાગવામાં સફળ રહ્યા હતા. સેના અને પોલીસે આતંકીઓને પકડવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ અંગે સેના તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.


સેનાએ 5 આતંકીઓને ઠાર કર્યા હતા


આ પહેલા જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સેનાના બે જવાન શહીદ થયા હતા. જ્યારે સેનાએ 5 આતંકીઓને ઠાર કર્યા હતા. આ પહેલા સેનાને બે અલગ-અલગ જગ્યાએ આતંકીઓની હાજરીની માહિતી મળી હતી. આ પછી સેનાએ આતંકવાદ વિરોધી ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટર અંગે માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે, જિલ્લાના ફ્રિસલ ચિન્નીગામ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું.


ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાં ઘણી આતંકી ઘટનાઓ સામે આવી છે. આ પહેલા 27 જૂને બુધવારે જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના ગંડોહ, ભદરવાહ સેક્ટરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ગયા મહિને, 9 જૂનની સાંજે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ખાઈમાં પડી હતી, જેમાં ઓછામાં ઓછા 9 લોકો માર્યા ગયા હતા અને 33 અન્ય ઘાયલ થયા હતા.