Bhavnagar: ભાવનગરમાં લઠ્ઠાકાંડના કારણે સર્જાયેલા મોતના તાંડવ વચ્ચે એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. પોલીસ તંત્ર દ્વારા તપાસ ઝડપી બનાવતા દારૂની બોટલ અને તેના પર મારેલા સ્ટીકરના ફોટા જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ પોલીસે લોકોને ખાસ અપીલ કરી છે કે દારૂની બોટલ પર રહેલા બારકોડ અને '8901522000665' નંબર પર ખાસ ધ્યાન રાખવું તેમજ જાહેર કરેલા સ્ટીકરવાળી દારૂની બોટલ જો કોઈ પાસે હોય તો તેનો તુરંત જ નાશ કરી દેવો. વધુમાં, જો કોઈ વ્યક્તિએ આ સ્ટીકરવાળા દારૂનું સેવન કર્યું હોય તો તેણે કોઈપણ જાતની રાહ જોયા વિના તાત્કાલિક તબીબી સારવાર મેળવી લેવી, જેથી મોટી હોનારતથી બચી શકાય.

Continues below advertisement

 

Continues below advertisement

ભાવનગર લઠ્ઠાકાંડમાં 7 લોકોના મોત

 ભાવનગર શહેરમાં નકલી દારૂના સેવનથી હાહાકાર મચી ગયો છે. કલેક્ટર દ્વારા આપેલી માહિતી મુજબ, આ ડુપ્લીકેટ દારૂના સેવનના કારણે અત્યાર સુધીમાં 7 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. આ ઉપરાંત, ડુપ્લીકેટ રોયલ સ્ટેગ દારૂ પીવાના કારણે 39 લોકોની તબિયત લથડતા તેઓને શહેરની અલગ-અલગ 5 હોસ્પિટલોમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો...Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

સમાચાર અનુસાર, મૃતકોમાં સિહોરના સોનગઢની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હિતેશ પરમારનો સમાવેશ થાય છે, જેઓનો મૃતદેહ ગાંધી કોલોની સામે આવેલ ગિલ્બર્ટ એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો. રસોડામાંથી ડુપ્લીકેટ રોયલ સ્ટેગ દારૂની બોટલ મળી આવી હતી. તેમના સિવાય અન્ય એક નાગરિક જયેશ ભટ્ટીનું પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે, જેને લઈને પરિવારજનોએ ઝેરીલો દારૂ પીવાથી મોત થયું હોવાનો દાવો કર્યો છે.

અમદાવાદથી મટીરીયલ લવાયું, મધ્યપ્રદેશથી આરોપી રઈશની ધરપકડ

તપાસમાં સામે આવ્યું છે કે, ઉજ્જૈનથી લવાયેલા રોયલ સ્ટેગ દારૂમાં ભાવનગરમાં જ મિલાવટ કરવામાં આવી હતી. બુટલેગર ગૌતમ સોલંકી, રઈશ, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડોક્ટર અને ઝુબેર નામના શખ્સોએ મિશ્રણ કરીને ડુપ્લીકેટ દારૂ તૈયાર કર્યો હતો. આ માટે મિથાઈલ આલ્કોહોલ, પેકિંગનો સામાન અને અન્ય મટીરીયલ્સ અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી લાવવામાં આવ્યું હોવાની આશંકા છે. આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે મોટી કાર્યવાહી કરીને મોડી સાંજે મધ્યપ્રદેશથી મુખ્ય આરોપી રઈશની ધરપકડ કરી છે અને તેને ભાવનગર લાવવામાં આવી રહ્યો છે.

પોલીસ બેડામાં મોટી કાર્યવાહી અને SPની બેદરકારી સામે આવી

આ ઘટના સામે આવ્યા બાદ જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય દ્વારા વરતેજ પોલીસ મથકના ચાર પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં બીટ જમાદાર ધર્મપાલસિંહ ગોહિલ તેમજ ડી-સ્ટાફના જયરાજસિંહ ગોહિલ, અનિરૂદ્ધસિંહ ડાયમા અને શક્તિસિંહ સરવૈયાનો સમાવેશ થાય છે.

બીજી તરફ, આ સમગ્ર લઠ્ઠાકાંડ મામલે ભાવનગર SPની ગંભીર બેદરકારી પણ સામે આવી છે. આટલી મોટી ઘટના બની હોવા છતાં ભાવનગર SP દ્વારા રેંજ IG કે DGP ઓફિસને કોઈ જાણ કરવામાં આવી નહોતી. જેને પગલે DGP ઓફિસ દ્વારા SP પાસે ખુલાસો માગતો પત્ર પાઠવવામાં આવ્યો છે, જે હાલ વાયરલ થઈ રહ્યો છે.