8th Pay Commission latest updates: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મા પગાર પંચને લઈને દેશભરમાં ચર્ચાઓ તેજ બની ગઈ છે. તાજેતરમાં 24 એપ્રિલે દેહરાદૂનમાં મળેલી બેઠક બાદ હવે દિલ્હીમાં પણ આ મુદ્દે મંથન ચાલી રહ્યું છે. આ દરમિયાન ઘણા કર્મચારી સંગઠનો પગાર પંચ સમક્ષ પોતાની વિવિધ માંગણીઓ મૂકી રહ્યા છે. જેમાં કેન્દ્ર સરકારના શિક્ષકોનું પ્રતિનિધિત્વ કરતા સંગઠન 'પ્રોગ્રેસિવ ટીચર્સ જસ્ટિસ ફોરમ (PSNM)' એ પણ પોતાના પ્રસ્તાવો રજૂ કર્યા છે. સંગઠને ખાસ કરીને બાળકોના શિક્ષણ ભથ્થા (Children Education Allowance) અને ટ્રાન્સપોર્ટ ભથ્થા (TA) માં મોટો વધારો કરવાની અપીલ કરી છે. જો આ માંગણીઓ સરકાર સ્વીકારી લેશે, તો આગામી સમયમાં કર્મચારીઓને ખૂબ મોટી આર્થિક રાહત મળશે તેવી આશા છે.

શિક્ષણ ભથ્થામાં બમ્પર વધારાની માંગ

Continues below advertisement
Continues below advertisement

PSNM સંગઠને સરકાર પાસે માંગ કરી છે કે હાલમાં જે ₹2,812.59 પ્રતિ માસ બાળ શિક્ષણ ભથ્થું મળે છે, તેને સીધું વધારીને ₹7,000 પ્રતિ માસ કરવામાં આવે. આનાથી મોંઘવારીના આ સમયમાં કર્મચારીઓ પોતાના બાળકોના અભ્યાસનો ખર્ચ આસાનીથી પહોંચી વળશે. અત્યાર સુધી આ ભથ્થું માત્ર ધોરણ 12 સુધી જ આપવામાં આવે છે, સંગઠન ઈચ્છે છે કે તેને ગ્રેજ્યુએશન (કોલેજ) સુધી લંબાવવામાં આવે. આ ઉપરાંત, આજના ડિજિટલ યુગની જરૂરિયાત મુજબ દર મહિને ₹2,000 નું નવું 'ડિજિટલ સપોર્ટ ભથ્થું' (બ્રોડબેન્ડ અને AI-સંબંધિત ખર્ચ માટે) પણ માંગવામાં આવ્યું છે, જે અગાઉના કોઈપણ પગાર પંચમાં નહોતું.

ટ્રાન્સપોર્ટ ભથ્થા (TA) માં પણ તોતિંગ વધારો

રોજિંદા વાહનવ્યવહારના વધતા ખર્ચને જોતા કર્મચારી સંગઠન ઈચ્છે છે કે ટ્રાન્સપોર્ટ ભથ્થું (TA) પણ મૂળ પગારના (Basic Pay) 12 થી 15 ટકા જેટલું કરવામાં આવે અથવા તો તેને ઓછામાં ઓછું ₹9,000 વત્તા DA (મોંઘવારી ભથ્થું) નક્કી કરવામાં આવે. તમને જણાવી દઈએ કે હાલમાં અલગ-અલગ લેવલ મુજબ આ ભથ્થું ₹1,800, ₹3,600 અને ₹7,200 મળે છે, જેમાં હવે મોટા વધારાની અપેક્ષા રખાઈ રહી છે.

રજાઓના નિયમોમાં પણ ફેરફારનું સૂચન

પગાર અને ભથ્થાં સિવાય રજાઓ માટે પણ કેટલાક મહત્વના સૂચનો આપવામાં આવ્યા છે. સંસ્થાએ માંગ કરી છે કે વર્ષની કેઝ્યુઅલ લીવ (CL) 14 દિવસ, અર્ન લીવ (EL) 30 દિવસ અને મેડિકલ લીવ 20 દિવસ કરવામાં આવે. આની સાથે જ જ્યારે કોઈ કર્મચારી નિવૃત્ત થાય, ત્યારે તેને જમા થયેલી અર્ન લીવના રોકડીકરણ (Encashment) ની મર્યાદા હાલના 300 દિવસથી વધારીને 400 દિવસ કરવાની પણ જબરદસ્ત દરખાસ્ત મૂકવામાં આવી છે.