Anil Ambani: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ ઉદ્યોગપતિ અનિલ અંબાણી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. માર્કેટ રેગ્યુલેટરે અનિલ અંબાણી અને રિલાયન્સ હોમ ફાઇનાન્સના ભૂતપૂર્વ મુખ્ય એક્ઝિક્યુટિવ્સ સહિત 24 અન્ય એન્ટિટીને ઇક્વિટી માર્કેટમાંથી 5 વર્ષ માટે પ્રતિબંધિત કર્યા છે. આ ઉપરાંત 25 કરોડનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સેબીએ કંપનીમાંથી ફંડ ડાયવર્ઝનના આરોપમાં તેમની સામે મોટી કાર્યવાહી કરી છે.






સેબીએ અનિલ અંબાણી પર 25 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને તેમને 5 વર્ષની માટે કોઈપણ લિસ્ટેડ કંપની અથવા બજાર નિયામક સાથે રજિસ્ટર્ડ કોઈપણ મધ્યસ્થીમાં ડાયરેક્ટર અથવા કી મેનેજરિયલ પર્સન (KMP) તરીકે સિક્યોરિટી માર્કેટ સાથે જોડાવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સિવાય માર્કેટ રેગ્યુલેટરે રિલાયન્સ હોમ ફાઇનાન્સ પર સિક્યોરિટી માર્કેટમાંથી છ મહિના માટે પ્રતિબંધિત મુક્યો છે અને તેના પર છ લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.


અનિલ અંબાણી સામે સેબીને શું મળ્યું?


પોતાના 222 પાનાના અંતિમ આદેશમાં SEBIએ શોધી કાઢ્યું હતું કે અનિલ અંબાણીએ રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (RHFL) ના પ્રમુખ મેનેજમેન્ટની મદદથી આરએચએફએલમાંથી ફંડ બહાર કાઢવા માટે એક છેતરપિંડીની યોજના બનાવી હતી જેમાં તેમણે તેમની સાથે સંકળાયેલી સંસ્થાઓને લોન તરીકે બતાવી હતી. જો કે RHFL ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આવી લોન આપવાની પ્રથાઓને રોકવા માટે કડક સૂચનાઓ જાહેર કરી હતી અને કોર્પોરેટ લોનની નિયમિત સમીક્ષા હાથ ધરી હતી તેમ છતાં કંપનીના મેનેજમેન્ટે આ આદેશોની અવગણના કરી હતી.


RHFLમાં હાલમાં 9 લાખથી વધુ શેરધારકો છે.


માર્કેટ રેગ્યુલેટરે તેના ઓર્ડરમાં કંપનીના મેનેજમેન્ટ અને પ્રમોટરના બેદરકારીભર્યા વલણની નોંધ લીધી હતી, જેમાં તેઓએ એવી કંપનીઓને સેંકડો કરોડ રૂપિયાની લોન મંજૂર કરી હતી કે જેની પાસે સંપત્તિ, રોકડ પ્રવાહ, નેટવર્થ અથવા આવક ન હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે આ 'લોન' પાછળ ખોટા લક્ષ્યની જાણકારી મળે છે.


આખરે આમાંના મોટાભાગના ઋણ લેનારાઓ તેમની લોન ચૂકવવામાં નિષ્ફળ ગયા જેના કારણે RHFL તેની લોનની જવાબદારીઓ પર ડિફોલ્ટ થઈ ગયું, જેના કારણે RBI ફ્રેમવર્ક હેઠળ કંપનીનું રિઝોલ્યુશન થયું અને તેના શેરધારકોને તકલીફ પડી હતી. અત્યારે પણ RHFLમાં 9 લાખથી વધુ શેરધારકોનું રોકાણ છે, જેઓ નોંધપાત્ર નુકસાનનો સામનો કરી રહ્યા છે.