જો તમે રોકડ ઉપાડવા માટે નિયમિતપણે એટીએમ (ATM) નો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. 1 એપ્રિલ, 2026 થી નવા નાણાકીય વર્ષની શરૂઆત થતા જ દેશની ત્રણ મોટી બેંકો - HDFC બેંક, પંજાબ નેશનલ બેંક (PNB) અને બંધન બેંકે તેમના ATM અને UPI ઉપાડના નિયમોમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. આ નવા નિયમોથી તમારી રોજિંદી કેશ ઉપાડવાની મર્યાદા ઘટશે અને મફત ટ્રાન્ઝેક્શનની લિમિટ પૂરી થતાં તમારા વોલેટ પર સીધો ચાર્જ લાગશે. ચાલો વિગતવાર સમજીએ કે કઈ બેંકે કયા નવા નિયમો લાગુ કર્યા છે.

HDFC બેંકના નિયમોમાં મોટો ફેરફાર

HDFC બેંકે એટીએમ ટ્રાન્ઝેક્શનને લઈને મોટો નિર્ણય લીધો છે. હવે તમે ATM માંથી UPI નો ઉપયોગ કરીને જે રોકડ ઉપાડો છો, તેને પણ તમારી 'ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ' (મફત વ્યવહાર મર્યાદા) માં જ ગણવામાં આવશે. અગાઉ, UPI થી થતા રોકડ ઉપાડને અલગ ગણવામાં આવતો હતો, પણ હવે તેને સામાન્ય ATM ઉપાડની સમાન જ ગણવામાં આવશે. આનો સીધો અર્થ એ છે કે, જો તમે મહિનાની નક્કી કરેલી મફત મર્યાદા ઓળંગશો, તો ત્યાર પછીના દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર તમારે 23 રૂપિયા અને સાથે ટેક્સ ચૂકવવો પડશે.

Continues below advertisement
Continues below advertisement

PNB એ ઘટાડી રોજના રોકડ ઉપાડની મર્યાદા

પંજાબ નેશનલ બેંક (PNB) ના ગ્રાહકોને હવે મોટી રકમ ઉપાડવા માટે ATM ના વધુ ધક્કા ખાવા પડી શકે છે. બેંકે પોતાના સામાન્ય ડેબિટ કાર્ડ પર રોજના રોકડ ઉપાડની મર્યાદા 1 લાખ રૂપિયાથી ઘટાડીને સીધી 50,000 રૂપિયા કરી દીધી છે. જ્યારે પ્રીમિયમ કાર્ડધારકો માટે આ મર્યાદા 1.5 લાખ રૂપિયાથી ઘટાડીને 75,000 રૂપિયા કરવામાં આવી છે.

બંધન બેંકે ચાર્જ અને દંડના નિયમો કર્યા કડક

બંધન બેંકે પણ એટીએમ વાપરવાના નિયમોમાં સુધારો કર્યો છે. હવે તમને તમારા પોતાના બેંકના ATM પર દર મહિને 5 ટ્રાન્ઝેક્શન મફત મળશે. જો તમે અન્ય બેંકના એટીએમ વાપરો છો, તો મેટ્રો શહેરોમાં 3 અને નોન-મેટ્રો શહેરોમાં 5 ટ્રાન્ઝેક્શન મફત મળશે. આ લિમિટ પૂરી થયા પછી નાણાકીય વ્યવહાર (પૈસા ઉપાડવા) પર 23 રૂપિયા અને બિન-નાણાકીય વ્યવહાર (બેલેન્સ ચેક કરવું, પિન બદલવો વગેરે) પર 10 રૂપિયાનો ચાર્જ લાગશે. સૌથી અગત્યની વાત એ છે કે, જો ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાને કારણે તમારું ટ્રાન્ઝેક્શન નિષ્ફળ (Fail) જશે, તો પણ બેંક 25 રૂપિયાનો વધારાનો દંડ વસૂલશે.

કયા શહેરો ગણાશે મેટ્રો?

બેંકના નિયમો અનુસાર, મેટ્રો શહેરોની યાદીમાં બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ અને નવી દિલ્હીનો સમાવેશ થાય છે. આ 6 શહેરો સિવાયના દેશના બાકીના તમામ શહેરો નોન-મેટ્રો શ્રેણીમાં આવશે.