નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંક્રમણને કાબુ કરવા દેશમાં લગાવવામાં આવેલા લોકડાઉનથી સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રીઝને પણ તગડો ઝટકો લાગ્યો છે. માર્કેટ રિસર્ચ ફર્મ ઈન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન (IDC) અને કાઉન્ટર પોઈન્ટ રિસર્ચનો અંદાજ છે કે ભારતીય માર્કેટમાં સ્માર્ટપોનના વેચાણમાં 13 થી 15 ટકાનો ઘટાડો થઈ શકે છે.


તાજેતરના વર્ષોમાં પ્રથમ વખત સ્માર્ટફોનના વેચાણમાં ઘટાડાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. લોકડાઉનના કારણે મોટી માત્રામાં લોકોની નોકરી જતી રહી છે. જેની સીધી અસર લોકોની ખરીદ ક્ષમતા પર પડી રહી છે.

રિસર્ચ કંપનીનું કહેવું છે કે લોકડાઉન દરમિયાન નોકરી જવાથી અને પગારમાં ઘટાડાથી ગ્રાહકો હવે સ્માર્ટફોન ખરીદવાનું ટાળી રહ્યા છે. કંપનીઓમાં ઉત્પાદન ન હોવાના કારણે પુરવઠા પર અસર પડી છે. નવા મોડલ બજારમાં નથી આવી રહ્યા. આ ઉપરાંત સ્માર્ટફોન પર જીએસટી 12 ટકાથી વધારીને 18 ટકા કરવાના ફેંસલાની પણ માંગ અને વેચાણ પર અસર પડી રહી છે.

ઈન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન (IDC)નું કહેવું છે કે પહેલા ભારતીય બજારમાં 14 કરોડ સ્માર્ટફોનના વેચાણનો અંદાજ હતો. પરંતુ હવે તેને ઘટાડીને 13 કરોડ કરી દેવામાં આવ્યો છે. જ્યારે કાઉન્ટર પોઇન્ટ રિસર્ચે પહેલા 14.20 કરોડ સ્માર્ટફોનના વેચાણનો અંદાજ મુક્યો હતો પરંતુ હવે તેને 13.70 કરોડ કરી દીધો છે.

ગત વર્ષે ભારતમાં 15 કરોડ 80 લાખ સ્માર્ટ ફોનનું વેચાણ થયું હતું. ચાલુ વર્ષે સ્માર્ટફોનના વેચાણનો ગ્રોથ બે આંકડા પણ પાર કરી શક્યો નથી. ફીચર્સ ફોનના વેચાણમાં પણ ઘટાડાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં 42 ટકાનો ઘટાડો થઈ શકે છે. ગત વર્ષે 13 કરોડ ફીચર્સ ફોન વેચાયા હતા, પરંતુ આ વર્ષે સાડા સાત કરોડ ફોન જ વેચાશે તેવી આશંકા છે.