EPF Interest After Quitting Job: આજના સમયમાં ઘણા લોકો 40 કે 45 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી નોકરીમાંથી બ્રેક લેવાનું અથવા તો પોતાની કારકિર્દી બદલવાનું વિચારતા હોય છે. આવી સ્થિતિમાં તેમના મનમાં સૌથી મોટો સવાલ એ હોય છે કે, નોકરી છોડ્યા પછી તેમના પ્રોવિડન્ટ ફંડ (PF) ખાતાનું શું થશે? શું તેમાં જમા રકમ પર નિવૃત્તિ સુધી વ્યાજ મળતું રહેશે કે પછી એકાઉન્ટ બંધ થઈ જશે? જો તમે પણ આવી કોઈ મૂંઝવણ અનુભવી રહ્યા છો, તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના નવા નિયમો તમને મોટી રાહત આપી શકે છે.
58 વર્ષની ઉંમર સુધી સતત મળતું રહેશે વ્યાજ
EPFO ના લેટેસ્ટ નિયમો અનુસાર, જો તમે 40 થી 45 વર્ષની ઉંમરે નોકરી છોડી દો છો, તો તમારું PF ખાતું તરત જ બંધ થતું નથી. સૌથી રાહતના સમાચાર એ છે કે, તમારી જમા રકમ પર તમને 58 વર્ષની ઉંમર સુધી સતત વ્યાજ મળતું રહેશે. આનો સીધો અર્થ એ છે કે, નોકરી છોડ્યા પછી પણ જો તમે શરતોનું પાલન કરો છો અને ખાતામાંથી પૈસા નથી ઉપાડતા, તો તમારા પીએફ ફંડમાં દર વર્ષે વ્યાજનો ઉમેરો થતો રહેશે અને તમારું ભંડોળ આપોઆપ વધતું રહેશે.
58 વર્ષ પછી વ્યાજ કેમ બંધ થઈ જાય છે?
હવે સવાલ એ થાય કે 58 વર્ષની ઉંમર પછી શું થશે? EPFO ના નિયમ મુજબ, 58 વર્ષની ઉંમરને નિવૃત્તિની ઉંમર (રિટાયરમેન્ટ એજ) માનવામાં આવે છે. તેથી, જો તમે આ ઉંમર વટાવી ચૂક્યા છો અને તેમ છતાં પીએફ ખાતામાં પૈસા જમા રાખ્યા છે, તો તે રકમ પર ભવિષ્યમાં કોઈ વધારાનું વ્યાજ ચૂકવવામાં આવશે નહીં. એટલે કે, 58 વર્ષ પૂરા થતાં જ તમારા પીએફ ખાતા પર વ્યાજ મળવાનું કાયમી ધોરણે બંધ થઈ જાય છે.
આ પણ વાંચોઃ પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ: 5 વર્ષમાં થશે ₹5.55 લાખની કમાણી, વાંચો સંપૂર્ણ વિગત
નોકરી છોડ્યા પછી PF ઉપાડવા અંગેના નિયમો
જ્યારે તમે નોકરી છોડી દો છો, ત્યારે તમને તમારી જરૂરિયાત મુજબ પીએફ ફંડનો ઉપયોગ કરવાની છૂટ મળે છે.
જો તમે નોકરી છોડ્યા બાદ બેરોજગાર છો, તો તમે તમારી જરૂરિયાત પૂરી કરવા પીએફ ખાતામાંથી અમુક ચોક્કસ હિસ્સો એડવાન્સ તરીકે ઉપાડી શકો છો અને બાકીની રકમ નિયત સમયગાળો પૂરો થયા પછી ઉપાડી શકાય છે.
આ ઉપરાંત, જો તમે કોઈ નવી નોકરીમાં જોડાવ છો, તો તમે ખૂબ જ સરળતાથી તમારા જૂના પીએફ ખાતાને નવી કંપનીના નવા ખાતા સાથે ટ્રાન્સફર કરી શકો છો.
PF એકાઉન્ટ ક્યારે નિષ્ક્રિય (Inactive) થાય છે?
જો તમે નોકરી છોડ્યા પછી લાંબા સમય સુધી પીએફ ખાતામાં કોઈ નવું રોકાણ ન કરો અને જૂના ખાતાને એમનેમ જ પડી રહેવા દો, તો તમારું ખાતું નિષ્ક્રિય (Inactive) થઈ શકે છે. તેથી નિષ્ણાતો હંમેશા એવી સલાહ આપે છે કે, નવી નોકરી મળ્યા પછી તરત જ કોઈપણ પ્રકારની મુશ્કેલીથી બચવા માટે તમારા જૂના પીએફ ખાતાને નવા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેવું જોઈએ.
આ પણ વાંચોઃ NPS નિયમોમાં મોટો ફેરફાર: સરકારી કર્મચારીઓને મળશે હવે વધુ વળતર, નવો ઓપ્શન જાહેર
