Indian Economy: ભારતમાં મોંઘવારી એક મોટો મુદ્દો છે. પરંતુ આવનાર સમયમાં તેમાંથી રાહત મળી શકે છે તેમ નાણાં મંત્રાલયનું કહેવું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કોમોડિટીના ભાવમાં ઘટાડો અને બજારમાં નવા ખરીફ પાકના આગમન બાદ સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત મળી શકે છે. નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે તેની માસિક આર્થિક સમીક્ષા જાહેર કરી છે જેમાં આ બાબતો કહેવામાં આવી છે. 


નાણા મંત્રાલયના આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, વૈશ્વિક ગ્રોથમાં ઘટાડો, ફુગાવો અને કથળતી નાણાકીય સ્થિતિને કારણે વૈશ્વિક મંદીનું જોખમ વધ્યું છે. 


આર્થિક પ્રવૃત્તિ પર અસર


નાણા મંત્રાલયના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ઊંચા ફુગાવાના દરને કારણે ઘણા વિકસિત દેશોમાં વ્યાજદરમાં વધારો થયો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, મોંઘા દેવા અને ઊંચા મોંઘવારી દરની અસર વૈશ્વિક આર્થિક ગતિવિધિઓ પર જોવા મળી છે.


રશિયા-યુક્રેન યુદ્ધના કારણે મોંઘવારી વધી


રિપોર્ટ અનુસાર, કોરોના રોગચાળા બાદ ઘરેલુ અને વૈશ્વિક કારણોસર ભારતમાં મોંઘવારી ડાયનમિક્સ પર મોટી અસર થઈ છે. 2020માં વૈશ્વિક કોમોડિટી ક્ષેત્રે ભાવમાં ઘટાડાને કારણે જથ્થાબંધ ફુગાવાના દરમાં ઘટાડો જોવા મળ્યો હતો. કોરોના રોગચાળાને કારણે લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે આ સમયગાળા દરમિયાન છૂટક ફુગાવામાં તેજી જોવા મળી હતી. પરંતુ 2021માં સપ્લાય ચેઇનમાં સમસ્યાઓના કારણે વૈશ્વિક કોમોડિટીના ભાવમાં વધારો થયો હતો. ત્યાર બાદ 2022માં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ બાદ કોમોડિટીના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે.


સરકારે આપ્યા ગુડ ન્યુઝ


રિપોર્ટમાં સારા સમાચારને લઈને સંકેત આપવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર કોરોના પ્રતિબંધો હટાવવા અને તહેવારોની સિઝનમાં વેચાણની ક્ષમતાને ધ્યાનમાં રાખી કહી શકાય કે નવા બિઝનેસ હાયરિંગના કારણે આવનારા બે ક્વાર્ટરમાં કંપનીઓ તરફથી જબરદસ્ત હાયરિંગ જોવા મળી શકે છે.


ઘરેલું માંગ થશે મદદરૂપ


રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, વૈશ્વિક આર્થિક મંદીના કારણે ભારતની નિકાસમાં ઘટાડો થઈ શકે છે. જો કે, મજબૂત સ્થાનિક માંગ, રોકાણ અને માળખાકીય સુધારાને કારણે આર્થિક વૃદ્ધિને વેગ આપવામાં મદદરૂપ કરશે.


સ્ટાર્ટઅપને મદદ મળશે


કેન્દ્ર સરકાર સારી સ્ટાર્ટઅપ બનાવવા માટે તમામ શક્ય મદદ કરી રહી છે. જેના માટે MAARG પોર્ટલ બનાવવામાં આવ્યું છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) એ ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળનું રાષ્ટ્રીય માર્ગદર્શક પ્લેટફોર્મ છે. તે સ્ટાર્ટઅપ ઈન્ડિયાનો એક ભાગ છે. સરકારે MAARG પોર્ટલ પર નોંધણી શરૂ કરી છે અને દેશભરના સ્ટાર્ટઅપ્સ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.