ભારત આજે વિશ્વની સૌથી મોટી અને ઝડપથી વિકસતી 'સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ' ધરાવતો દેશ છે, પરંતુ એક વાસ્તવિકતા એ પણ છે કે ૮૦ ટકાથી વધુ સફળ સ્ટાર્ટ-અપ્સ માત્ર પાંચ મોટા શહેરોમાંથી જ ઉભરી રહ્યા છે. ભારતના નાના શહેરો, ગામડાઓ અને છેવાડાના વિસ્તારોમાં રહેલી અદભૂત પ્રતિભાઓ અને કોઠાસૂઝ મોટાભાગે યોગ્ય માર્ગદર્શન, ભંડોળ અને પ્લેટફોર્મના અભાવે ઝાંખી પડી જાય છે. દેશની આ સૌથી મોટી ખાઈને પૂરવા અને ગ્રામ્ય સ્તરે વસતા સંશોધકો તથા ઉદ્યોગસાહસિકોને પીઠબળ આપવા માટે અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ તેમના ૬૪મા જન્મદિને (૨૪ જૂન) 'વંદે ભારતમ' નામની એક રાષ્ટ્રવ્યાપી ઝુંબેશનો આરંભ કર્યો છે.

Continues below advertisement

"જ્યારે મેં મારી સફર શરૂ કરી, ત્યારે મારી પાસે કંઈ નહોતું. હું આજે જે કંઈ પણ છું અને મેં જે કંઈ મેળવ્યું છે, તે આ ભારતની માટીએ મને આપ્યું છે," આ હૃદયસ્પર્શી શબ્દો સાથે ગૌતમ અદાણીએ આ મહત્વાકાંક્ષી પહેલની જાહેરાત કરી હતી. તેમણે દ્રઢતાપૂર્વક કહ્યું કે, "જો હું આ કરી શકું છું, તો દેશનો કોઈ પણ નાગરિક આ કરી શકે છે. દેશમાં અભિનવ વિચારકોની કોઈ કમી નથી, તેમને માત્ર એક તક અને યોગ્ય મંચની જરૂર છે."

આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય મેટ્રો શહેરોની ઝગમગતી દુનિયાની બહાર, ભારતના તમામ ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૮૦૦થી વધુ જિલ્લાઓમાંથી એવી છુપાયેલી પ્રતિભાઓને શોધી કાઢવાનો છે, જેમના વિચારોમાં આર્થિક અને સામાજિક પરિવર્તન લાવવાની તાકાત છે. 'વંદે ભારતમ' હેઠળ માત્ર આધુનિક ટેકનોલોજી જ નહીં, પરંતુ કૃષિ, પરંપરાગત હસ્તકલા, ટકાઉ વિકાસ અને સ્થાનિક સમસ્યાઓના ઉકેલ લાવતા પ્રોજેક્ટ્સને પણ આવરી લેવાશે. ખાસ કરીને મહિલાઓ, આદિવાસીઓ, ગ્રામીણ સંશોધકો અને દિવ્યાંગ ઉદ્યોગસાહસિકોને મુખ્ય પ્રવાહમાં લાવવા વિશેષ પ્રોત્સાહન આપવામાં આવશે.

Continues below advertisement

આ ઝુંબેશની સૌથી મોટી વિશેષતા એ છે કે આમાં જોડાવા માટે કોઈ રજિસ્ટર્ડ કંપની કે મોટું સ્ટાર્ટ-અપ હોવું જરૂરી નથી. જો કોઈ વ્યક્તિ પાસે કોઈ સચોટ વિચાર, સમસ્યાનો ઉકેલ લાવતો નવો કન્સેપ્ટ કે પ્રારંભિક પ્રોટોટાઇપ હોય, તો તેઓ ઉંમર, વ્યવસાય કે શૈક્ષણિક લાયકાતની ચિંતા કર્યા વિના સીધા જ vandebharatam.org પર પોતાની અરજી કરી શકે છે.

આ પ્રક્રિયા અંતર્ગત રાજ્ય અને પ્રાદેશિક સ્તરે સઘન મૂલ્યાંકન બાદ ૭૫ શ્રેષ્ઠ પ્રતિભાઓની પસંદગી કરવામાં આવશે. આ ૭૫ લાભાર્થીઓને અમદાવાદ ખાતે એક વિશેષ તાલીમ અને માર્ગદર્શન કાર્યક્રમ માટે આમંત્રિત કરવામાં આવશે. અહીં તેમને ઉદ્યોગજગતના દિગ્ગજો, રોકાણકારો અને નિષ્ણાતો સાથે સીધો સંવાદ કરવાની તક મળશે. આ ઉપરાંત, આઈડિયાને સફળ વ્યવસાયમાં ફેરવવા માટે ઈન્ક્યુબેશન સપોર્ટ, ફંડિંગ અને વ્યૂહાત્મક ભાગીદારીનો પૂરેપૂરો લાભ પણ અપાશે.

દેશના આગામી સ્વાતંત્ર્ય પર્વની આસપાસ આ કાર્યક્રમની 'ગ્રાન્ડ ફિનાલે' યોજાશે, જેમાં પસંદગી પામેલા શ્રેષ્ઠ ઉદ્યોગસાહસિકોને રોકડ પુરસ્કાર અને વિશેષ સન્માન અપાશે.

ભારત જ્યારે ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં મક્કમ ડગલાં માંડી રહ્યું છે, ત્યારે 'વંદે ભારતમ' ગ્રામીણ અને સ્થાનિક પ્રતિભાઓને આર્થિક વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડી રોજગારીની નવી તકોનું સર્જન કરવા માટે એક સીમાચિહ્નરૂપ પગલું સાબિત થશે. અદાણીની આ પહેલ ખરા અર્થમાં 'લોકલ થી ગ્લોબલ' બનવાનું દેશનું સપનું સાકાર કરવા સજ્જ છે.