Gandhinagar News: રાજ્યમાં છેલ્લા થોડા સમયથી હાર્ટએટેકના કિસ્સામાં ચોંકાવનારો વધારો થયો છે. આ દરમિયાન ગાંધીનગર આઇબીમાં ફરજ બજાવતા DYSPનું હાર્ટ એટેકથી મોત થયું છે. ગાંધીનગર આઇબીમાં ફરજ બજાવતા એસ એન ચૌધરીના નિધનથી પોલીસબેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.


સુરતમાં વધુ એક વ્યક્તિનું હાર્ટે એટેકથી મોત


સુરતના ગીતા નગરમાં 42 વર્ષીય વ્યક્તિને હાર્ટ એટેક આવતા મોત થયું છે. રમાશંકર ત્રિવારી ઘરમાં પાણી ભરી રહ્યા હતા ત્યારે અચાનક છાતીના ભાગમાં દુખાવો થયો હતો. બાદમાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. રમાશંકર ત્રિવારી કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. લુમ્સ ખાતામાં કામ કરી પરિવારને મદદરૂપ થતા હતા. અચાનક હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ છે. પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૂર્તદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે. પીએમ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.


થોડા દિવસ પહેલા 24 કલાકમાં 6 લોકોના થયા હતા મોત


સુરતના જુદા જુદા વિસ્તારમાં થોડા દિવસ પહેલા 24 કલાકના ગાળામાં 6 લોકોના મોતથી હાહાકાર મચી ગયો હતો. છાતીના દુખાવા બાદ અલગ અલગ વિસ્તારમાં 6 ના મોત ચકચાર મચી ગઈ હતી. સુરતમાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ પાંડેસરાના 43 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. મૃતકનું નામ ડકુઆ રંકનિધિ કિર્તન ભૈરાબ હતું. મરનારને કોઈપણ બીમારી નહોતી. સુરતના ભેસ્તાન ભેરુ નગરમાં આ ઘટના બની હતી. બાથરૂમમાંથી ન્હાઈને નીકળ્યાં બાદ તેમને છાતીમાં દુખાવો થયો હતો. જે બાદ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. અચાનક મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.


સિંગણપુર વિસ્તારમાં આવેલા ગોવિંદજી હોટલની બાજુમાં હરીનગર ખાતે રહેતા 34 વર્ષીય યોગેશ કાનજીભાઈ મોરડીયાને વહેલી સવારે છાતીમાં દુખાવો થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા.


અન્ય બનાવમાં સચિન કનકપુર વિસ્તારમાં 40 વર્ષીય નયનાબેન રાઠોડ પરિવાર સાથે રહેતા હતા. બે દિવસ પહેલા સોસાયટીમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા, ત્યાંથી પરત ઘરે આવી ટીવી જોતા હતા ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થઈ અને ત્યાં જ ઢળી પડ્યા હતા. જેથી પરિવારજનો તેમને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.


મૂળ રાજસ્થાનના હનુમાનગંજનો વતની અને હાલ સચિન રેલવે સ્ટેશન પાસેના તિલક એવન્યુમાં રહેતો 27 વર્ષીય વિકાસ જગદીશ લખન રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો.  રાત્રે વિકાસ પરિવાર સાથે ટીવી જોઈ રહ્યો હતો. તે સમયે અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. તેણે પરિવારને છાતી અને પેટમાં દુખાવાની વાત કરી હતી. જેથી તેને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ જીવ બચી શક્યો નહોતો.