Windfall tax hike petrol diesel: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને ઓઇલ રિફાઇનિંગ કંપનીઓની અધધ કમાણીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે પેટ્રોલ અને ડીઝલની નિકાસ (Export) પર લાગતા 'વિન્ડફોલ ટેક્સ' (Windfall Tax) માં ફરી એકવાર મોટો વધારો ઝીંકી દીધો છે. 3 ઓગસ્ટથી લાગુ થયેલા આ નવા આદેશ મુજબ, હવે તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની નિકાસ પર પહેલા કરતા ઘણો વધારે ટેક્સ ચૂકવવો પડશે. સરકારે ક્રૂડના વૈશ્વિક ભાવ, નિકાસના માર્જિન અને કંપનીઓના નફામાં સમયાંતરે થતા ફેરફારોનો અભ્યાસ કરીને આ પગલું ભર્યું છે. જોકે, સામાન્ય જનતા માટે રાહતની વાત એ છે કે સરકારના આ મોટા ફેરફારથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ પર હાલ કોઈ જ અસર જોવા મળી નથી.
વિન્ડફોલ ટેક્સમાં કેટલો વધારો થયો?
નવા દરો વિશે વાત કરીએ તો, સરકારે 3 ઓગસ્ટથી આ નવા ફેરફારો અમલમાં મૂકી દીધા છે. આ મુજબ:
પેટ્રોલની નિકાસ પરનો ટેક્સ જે અગાઉ ₹2.5 પ્રતિ લિટર હતો, તે વધારીને હવે ₹3.5 પ્રતિ લિટર કરવામાં આવ્યો છે.
ડીઝલની નિકાસ પરના ટેક્સમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. ડીઝલ પરનો ટેક્સ ₹15.5 પ્રતિ લિટરથી વધારીને સીધો ₹24 પ્રતિ લિટર કરી દેવામાં આવ્યો છે.
અગાઉ પણ થયા હતા મોટા ફેરફારો
તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં પણ પરિસ્થિતિ મુજબ આ ટેક્સમાં મોટા ફેરફારો થતા રહ્યા છે. તાજેતરમાં થયેલી અગાઉની સમીક્ષામાં ડીઝલની નિકાસ પરનો કર ₹8.5 થી વધારીને ₹15.5 પ્રતિ લિટર કરાયો હતો (જે હવે ₹24 થઈ ગયો છે). આ ઉપરાંત, એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF - વિમાનમાં વપરાતું ઈંધણ) પરનો ટેક્સ પણ ₹7.5 પ્રતિ લિટરથી વધારીને ₹14.5 પ્રતિ લિટર કરવામાં આવ્યો હતો. જ્યારે પેટ્રોલ પર અગાઉ ₹2.5 પ્રતિ લિટર ટેક્સ હતો.
આ પણ વાંચોઃ પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
આખરે શું છે આ વિન્ડફોલ ટેક્સ?
હવે તમને થતું હશે કે આ વિન્ડફોલ ટેક્સ છે શું? સાવ બોલચાલની સરળ ભાષામાં સમજીએ તો, જ્યારે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં અચાનક ઉછાળો આવે છે, ત્યારે તેલનું ઉત્પાદન અને રિફાઇનિંગ કરતી કંપનીઓ અપેક્ષા કરતા ઘણો વધારે નફો કમાવા લાગે છે. કંપનીઓના આ અણધાર્યા અને વધારાના નફા પર સરકાર જે ખાસ પ્રકારનો ટેક્સ લગાવે છે, તેને 'વિન્ડફોલ ટેક્સ' કહેવાય છે. આ ટેક્સ લગાવવાનો મુખ્ય હેતુ એ જ હોય છે કે કંપનીઓને થતા આ અસાધારણ નફાનો એક ભાગ સરકારી આવકમાં પણ જમા થાય.
આ પણ વાંચોઃ શું તમે પેટ્રોલ-ડીઝલ ભરાવો છો? 1 જુલાઈથી બદલાયા નિયમો, જાણો તમારા પર શું અસર?
શું સામાન્ય જનતા પર આની કોઈ અસર પડશે?
સામાન્ય નાગરિકો માટે સૌથી મોટો સવાલ એ છે કે શું આનાથી પેટ્રોલ પંપ પર ભાવ વધશે? તો જવાબ છે ના. હાલ પૂરતો આ ટેક્સમાં થયેલો ફેરફાર માત્ર નિકાસ થતા (વિદેશમાં વેચાતા) પેટ્રોલ અને ડીઝલ પર જ લાગુ પડે છે. સ્થાનિક બજારમાં એટલે કે આપણા દેશમાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ યથાવત છે અને તેમાં કોઈ ફેરફાર કરાયો નથી. જોકે, ભવિષ્યમાં વૈશ્વિક તેલ બજારની વધઘટ અને સરકારની નીતિઓ ભવિષ્યના ભાવો પર ચોક્કસથી અસર કરી શકે છે.
