EPFO-UAN KYC Update: 7.6 કરોડથી વધુ EPFO ​​સભ્યો હવે એમ્પ્લોયર વેરિફિકેશન અથવા EPFO ​​મંજૂરી વિના પણ નામ અને જન્મ તારીખ જેવી વ્યક્તિગત માહિતી ઓનલાઈન બદલી શકે છે. આ સુવિધા 18, જાન્યુઆરી 2025 શનિવારથી શરૂ થઇ હતી. વધુમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના e-KYC EPF ખાતા (આધાર સાથે જોડાયેલા) ધરાવતા સભ્યો, નોકરીદાતાના કોઈપણ હસ્તક્ષેપ વિના આધાર OTP (વન ટાઈમ પાસવર્ડ) વડે સીધા જ તેમના EPF ટ્રાન્સફર ક્લેમ ઑનલાઇન ફાઇલ કરી શકે છે.

EPFO ની આ બંને નવી સેવાઓ શરૂ કરતી વખતે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, EPFO ​​સભ્યો દ્વારા નોંધાયેલી લગભગ 27 ટકા ફરિયાદો સભ્ય પ્રોફાઇલ/KYC મુદ્દાઓને લગતી હોય છે અને આ સેવા શરૂ થયા પછી આ ફરિયાદોમાં નોંધપાત્ર ઘટાડો થશે. તેમણે કહ્યું કે કર્મચારીઓની વ્યક્તિગત વિગતોમાં ફેરફાર માટેની વિનંતીઓથી મોટા કર્મચારીઓ ધરાવતા મોટા નોકરીદાતાઓને પણ ફાયદો થશે.

શ્રમ મંત્રીએ કહ્યું કે EPFO ​​એ EPFO ​​પોર્ટલ પર સંયુક્ત ઘોષણાની પ્રક્રિયાને સરળ બનાવી છે. આનાથી કર્મચારીઓને નામ, જન્મ તારીખ, જેન્ડર, રાષ્ટ્રીયતા, પિતા/માતાનું નામ, વૈવાહિક સ્થિતિ, જીવનસાથીનું નામ, કાર્ય સંસ્થામાં જોડાવાની અને છોડવાની તારીખ વગેરે જેવી વ્યક્તિગત માહિતીમાં થતી સામાન્ય ભૂલોને જાતે જ સુધારવાની મંજૂરી મળે છે.

આ માટે નોકરીદાતા દ્વારા કોઈ વેરિફિકેશન અથવા EPFO ​​દ્વારા મંજૂરીની જરૂર નથી. આવા કિસ્સાઓમાં કોઈ સહાયક દસ્તાવેજોની જરૂર નથી. આ સુવિધા એવા સભ્યો માટે ઉપલબ્ધ રહેશે જેમના UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) 1 ઓક્ટોબર, 2017 (જ્યારે આધાર કાર્ડ સાથે લિંક ફરજિયાત બન્યું હતું) પછી જાહેર કરવામાં આવ્યા હતા

જો UAN 1 ઓક્ટોબર, 2017 પહેલા જાહેર કરવામાં આવ્યો હોય તો નોકરીદાતા EPFO​​ની મંજૂરી વિના પણ વિગતો સુધારી શકે છે. આવા કેસ માટે સહાયક દસ્તાવેજોની જરૂરિયાત પણ સરળ બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે ફક્ત એવા કિસ્સાઓમાં જ્યાં UAN આધાર સાથે લિંક નથી કોઈપણ સુધારાને નોકરીદાતાને ફિઝિકલ રીતે સબમિટ કરવા પડશે અને ચકાસણી પછી તેને મંજૂરી માટે EPFO ​​ને મોકલવા પડશે.

કર્મચારી માટે શરૂઆતમાં નોકરીદાતા દ્વારા UAN નોંધણી કરવામાં આવે છે. ઘણા કર્મચારીઓ માટે નોંધણી પ્રક્રિયા દરમિયાન અથવા પછી પિતા/જીવનસાથીનું નામ, વૈવાહિક દરજ્જો, રાષ્ટ્રીયતા અને સેવા વિગતો દાખલ કરવામાં નોકરીદાતાઓ દ્વારા ભૂલો કરવામાં આવી હતી.

આ ભૂલોને સુધારવા માટે કર્મચારીએ સહાયક દસ્તાવેજો સાથે ઓનલાઈન વિનંતી કરવાની હતી. આ વિનંતી નોકરીદાતા દ્વારા ચકાસવાની હતી અને મંજૂરી માટે EPFO​​ને પણ મોકલવાની હતી. આ પ્રક્રિયાને સંયુક્ત ઘોષણા કહેવામાં આવતી હતી.

નાણાકીય વર્ષ 2024-25માં નોકરીદાતાઓ દ્વારા EPFO ​​ને મોકલવામાં આવેલી આઠ લાખ વિનંતીઓમાંથી એવું જોવા મળ્યું કે ફક્ત 40 ટકા વિનંતીઓ પાંચ દિવસમાં મોકલવામાં આવી હતી જ્યારે 47 ટકા વિનંતીઓ 10 દિવસ પછી મોકલવામાં આવી હતી. નોકરીદાતા દ્વારા લેવામાં આવેલ સરેરાશ સમય 28 દિવસનો હતો. આ સરળીકરણ સાથે 45 ટકા કિસ્સાઓમાં કર્મચારીઓ આધાર OTP વેરિફિકેશન મારફતે વ્યક્તિગત માહિતીમાં તાત્કાલિક સુધારા કરી શકશે. બાકીના 5૦ ટકા કેસ નોકરીદાતા દ્વારા સુધારવામાં આવશે.

આ યોજનામાં શરૂ કરો રોકાણ, ફક્ત આટલા મહિનામાં રૂપિયા થઇ જશે ડબલ