સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) પર વાર્ષિક 8.25 ટકા વ્યાજ દર નક્કી કર્યો છે. આ વ્યાજ દર મહિને તમારા EPF ખાતાના ક્લોઝિંગ બેલેન્સ પર ગણવામાં આવે છે પરંતુ તે વર્ષમાં ફક્ત એક જ વાર તમારા ખાતામાં જમા થાય છે. એટલે કે, વર્ષના અંતે તમારા ખાતામાં રહેલી રકમમાં વ્યાજ ઉમેરવામાં આવશે.
પરંતુ, શું તમે જાણો છો કે જો તમારું EPF ખાતું સતત 36 મહિના સુધી ઈનએક્ટિવ રહે છે તો તમને તેના પર વ્યાજ મળશે નહીં? ઈનએક્ટિવ થવાનો અર્થ એ છે કે ખાતામાં પૈસા જમા કરાવવા અથવા પૈસા ઉપાડવા જેવા કોઈ ટ્રાન્જેક્શન નથી. કારણ કે ફક્ત વ્યાજ ક્રેડિટને જ ટ્રાન્જેક્શન ગણવામાં આવતું નથી.
PF ખાતું ક્યારે ઈનએક્ટિવ થાય છે?
EPFOના નિયમો અનુસાર, જો તમારું EPF ખાતું 3 વર્ષ એટલે કે 36 મહિના સુધી કોઈપણ ટ્રાન્જેક્શન વિના રહે છે, તો તે ઈનએક્ટિવ થઈ જાય છે. આનો સીધો અર્થ એ છે કે તમને તે ખાતા પર હવે કોઈ વ્યાજ મળશે નહીં. ખાસ કરીને જો તમે 55 વર્ષની ઉંમરે નિવૃત્ત થયા છો તો તમારું ખાતું ફક્ત ત્રણ વર્ષ માટે એક્ટિવ માનવામાં આવશે અને 58 વર્ષની ઉંમર પછી આ ખાતું ઈનએક્ટિવ થઈ જશે.
તેથી જો તમે નોકરી બદલો છો તો ટ્રાન્સફર કરવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. જો તમે હાલમાં કોઈ નોકરી કરી રહ્યા નથી તો EPF ના પૈસા ઉપાડવા વધુ સારું રહેશે જેથી તમારા પૈસા ઈનએક્ટિવ ખાતામાં ફસાઈ ન જાય. તમે EPFO ની વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન પરથી તમારા ખાતાની સ્થિતિ જાણી શકો છો.
EPFO એ સભ્યોને સલાહ આપી
EPFO એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લોકોને કહ્યું હતું કે જો EPF ખાતું 36 મહિના સુધી ટ્રાન્સફર અથવા ઉપાડવામાં નહીં આવે તો તે એકાઉન્ટ ઈનએક્ટિવ થઈ જશે અને તેના પર વ્યાજ મળશે નહીં. EPFO કહે છે કે જો તમે હજુ પણ કામ કરી રહ્યા છો તો તમારા જૂના ખાતાના પૈસા નવા EPF ખાતામાં ટ્રાન્સફર કરો. જો તમે હાલમાં કામ કરી રહ્યા નથી તો EPF ના પૈસા ઉપાડવાનું વધુ સારું રહેશે.
EPFO તેનું સર્વિસ પ્લેટફોર્મ EPFO 3.0 લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. તે અગાઉ જૂન 2025માં લોન્ચ થવાનું હતું, પરંતુ ટેકનિકલ પરીક્ષણને કારણે તેમાં વિલંબ થયો છે. નવા પ્લેટફોર્મનો ઉદ્દેશ્ય ક્લેમની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવાનો અને યુઝર્સને UPI મારફતે રૂપિયા ઉપાડવાની ડિજિટલ સુવિધાઓ પ્રદાન કરવાનો છે.