NPS વાત્સલ્યના નવા નિયમો: હવે બાળકોના આ કામ માટે પૈસા ઉપાડી શકાશે, PFRDA ની મોટી રાહત
NPS Vatsalya New Rules 2025: સગીરો માટેની આ પેન્શન યોજના હવે ‘સ્પેશિયલ પર્પઝ સ્કીમ’ બની, જાણો 18 વર્ષની ઉંમર બાદ ખાતામાં શું ફેરફાર થશે અને ઉપાડની મર્યાદા કેટલી રહેશે.

NPS Vatsalya New Rules 2025: પોતાના બાળકોના સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્ય માટે જે માતા-પિતાએ સરકારની મહત્વકાંક્ષી 'NPS વાત્સલ્ય યોજના' (NPS Vatsalya Scheme) માં રોકાણ કર્યું છે અથવા કરવાનું વિચારી રહ્યા છે, તેમના માટે અત્યંત મહત્વના સમાચાર આવ્યા છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા બાળકો માટેની આ યોજના માટે વર્ષ 2025 ની નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ નવા સુધારાઓનો મુખ્ય ઉદ્દેશ્ય સગીરો માટેના રોકાણને વધુ લવચીક અને સુરક્ષિત બનાવવાનો છે. સપ્ટેમ્બર 2024 માં બહાર પાડવામાં આવેલા જૂના નિયમોના સ્થાને હવે આ નવા નિયમો સિસ્ટમ અપડેટ થતાની સાથે જ અમલમાં આવશે, જે રોકાણકારોને મોટી રાહત આપશે.
ડિસેમ્બર 2025 માં કરવામાં આવેલા મહત્વના ફેરફારો બાદ, હવે NPS વાત્સલ્ય યોજનાને સત્તાવાર રીતે 'વિશિષ્ટ હેતુ યોજના' (Special Purpose Scheme) તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. આ ફેરફાર PFRDA ને યોજનાના સંચાલન અને ઉપાડના નિયમો નક્કી કરવામાં વધુ સત્તા આપે છે. સૌથી મોટી રાહત એ છે કે હવે વાલીઓ ચોક્કસ સંજોગોમાં બાળકના ખાતામાંથી રકમ ઉપાડી શકશે. નવા નિયમો મુજબ, ખાતું ખોલ્યાના 3 વર્ષ પૂર્ણ થયા બાદ બાળકના ઉચ્ચ શિક્ષણ, ગંભીર બીમારીઓની સારવાર અથવા 75% થી વધુ વિકલાંગતા જેવા સંજોગોમાં આંશિક ઉપાડની છૂટ આપવામાં આવી છે. જોકે, અહીં એ ધ્યાન રાખવું જરૂરી છે કે તમે કુલ જમા રકમના માત્ર 25% હિસ્સો જ ઉપાડી શકશો, જેમાં વ્યાજની રકમનો સમાવેશ થતો નથી. આ ઉપાડની સુવિધા બાળક 18 વર્ષનું થાય તે પહેલાં અને પછી મર્યાદિત સંખ્યામાં જ મળવાપાત્ર રહેશે.
જ્યારે બાળક પુખ્ત વયનું એટલે કે 18 વર્ષનું થશે, ત્યારે આ ખાતાના સંચાલનમાં પણ ફેરફારો થશે. નવી ગાઈડલાઈન મુજબ, બાળક 18 વર્ષનું થાય ત્યારે નવેસરથી KYC કરાવવું પડશે અને નોમિનેશનની પ્રક્રિયા પણ ફરીથી કરવી પડશે. લાભાર્થી ઈચ્છે તો આ ખાતું વધુ 3 વર્ષ સુધી એટલે કે 21 વર્ષની ઉંમર સુધી NPS વાત્સલ્ય હેઠળ ચાલુ રાખી શકે છે અથવા તેને 'NPS ઓલ સિટીઝન મોડેલ' (NPS All Citizen Model) માં ટ્રાન્સફર કરી શકે છે. જો 18 વર્ષ બાદ પૈસા ઉપાડવા હોય, તો કુલ ભંડોળના 80% સુધીની રકમ વાર્ષિકી (પેન્શન પ્લાન) માં રોકવી પડશે અને બાકીની રકમ એકસાથે ઉપાડી શકાશે. જોકે, જો કુલ ભંડોળ ₹8 લાખ કરતા ઓછું હશે, તો સંપૂર્ણ રકમ ઉપાડી લેવાની છૂટ આપવામાં આવશે. જો 21 વર્ષની ઉંમર સુધી કોઈ વિકલ્પ પસંદ કરવામાં ન આવે, તો ખાતું આપમેળે હાઈ-રિસ્ક ઈક્વિટી પ્લાનમાં શિફ્ટ થઈ જશે.
રોકાણના પોર્ટફોલિયો અને પ્રોત્સાહનો અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. આ યોજનામાં અન્ય પરંપરાગત બચત યોજનાઓ કરતાં ઇક્વિટીમાં વધુ રોકાણની છૂટ મળે છે. રોકાણકારો ઇક્વિટીમાં 50 થી 75 ટકા, સરકારી સિક્યોરિટીઝમાં 15 થી 20 ટકા અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં 10 થી 30 ટકા સુધીનું રોકાણ પસંદ કરી શકે છે. આ ઉપરાંત, નાના શહેરો અને ગામડાઓમાં આ યોજનાનો વ્યાપ વધારવા માટે સરકારે આંગણવાડી કાર્યકરો, આશા વર્કર્સ અને બેંક સખીઓને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લીધો છે. હવેથી દરેક નવા NPS વાત્સલ્ય ખાતાની નોંધણી પર તેમને ₹100 સુધીનું ઈન્સેન્ટિવ મળશે. યોજનાના અન્ય ચાર્જીસ સ્ટાન્ડર્ડ NPS મોડેલ મુજબ જ રહેશે.




















